Saturday, December 14, 2013

આધુનિક જનીનશાસ્ત્રના પિતામહ ફેડરિક સેંગર

ઇંગ્લેન્ડનાં બાયોકેમિસ્ટ ફેડરિક સેંગરનું 19મી નવેમ્બર, 2013ના રોજ ૯૫ વર્ષની વયે અવસાન પામ્યા છે એ સમાચાર હમણાં આવ્યા.ફાધર ઓફ જિનોમિક્સતરીકે જાણીતા આ વિજ્ઞાનીના જીવરસાયણ શાસ્ત્રમાં ઊંડા સંશોધનને પગલે બે વખત નોબેલ પ્રાઈઝ એનાયત થયો હતો. મેડિકલમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર સેંગરને યુવાન વયે જ બાયોકેમેસ્ટ્રીમાં રસ જાગ્યો હતો. તેમનાં અભ્યાસ અને સંશોધનો દ્વારા તેમણે બાયોલોજીના અને ખાસ કરીને આધુનિક જિનેટિક એન્જિનિયરિંગના દ્વાર ખોલી આપ્યાં હતાં. આજે જિનોમિક્સ ક્ષેત્રે આપણે જે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી શક્યાં છીએ એની ક્રાંતિનો પાયો સાઠના દાયકામાં ફેડરિક સેંગરે નાંખ્યો હતો.

ફેડરિક સેંગરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ ઇંગ્લેન્ડના રેન્ડકોમ્બ, ગ્લુસેસ્ટરશાયરમાં થયો હતો. વ્યવસાયે તબીબ પિતાના પુત્ર સેંગરે પણ નાનપણથી વિજ્ઞાનમાં રુચિ કેળવી લીધી હતી. જોકે વિદ્યાર્થી કાળમાં તેઓ સામાન્ય કહી શકાય એવાં વિદ્યાર્થી હતાં. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે જણાવ્યું હતું કે, તેમને બાયોલોજી પ્રત્યે પ્રેમ હતો એ વાત સાચી પરંતુ એ વાત પણ એટલી જ સાચી હતી કે તેઓ પ્રતિભાશાળી વિદ્યાર્થી ન હતાં. આમ છતાં તેમણે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ પણ પિતાની જેમ જ તબીબ વિદ્યાનો અભ્યાસ કરશે અને અને તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડશે. જોકે સેંગર કોલેજમાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મન બદલાઈ ગયું અને તેમને બાયોકેમેસ્ટ્રીના વિષયોમાં વધુ રસ પડ્યો.

આ દિશામાં આગળ વધતા સેંગરે યોગ્ય સ્કોલરશિપ મેળવીને કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં નેચરલ સાયન્સનો અભ્યાસ કર્યો. જોકે કોલેજના શરૂઆતના વર્ષોમાં જ તેમણે તેમના માતા-પિતાને કેન્સરની બીમારીને કારણે ગુમાવી દીધા હતાં. વર્ષ 1940ના વર્ષમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં હતા. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે કોલેજના અભ્યાસને યાદ કરતા વ્યંગમાં કહ્યું હતું કે, “મારા અને મારા શિક્ષકોના આશ્ચર્ય વચ્ચે હું ઘણાં સારા માર્કે બી.એ (સ્નાતક) થયો હતો.” સારા માર્કસ મેળવ્યાં બાદ તેમના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થયો હતો. બાદમાં તેમણે બાયોકેમેસ્ટ્રીમાં પીએચ.ડી કરવાનું નક્કી કર્યું પણ એ વખતે વિશ્વયુદ્ધ શરૂ થવાના કારણે તેઓ કેમ્બ્રિજમાંએન્ટિ વૉર ગ્રુપ’ માં સામેલ થયાં અને તેમાં તેમણે યુદ્ધવિરોધી ચળવળકાર તરીકે કામ કર્યું. સ્નાતક થયાં બાદ વર્ષ 1940માં જ તેમણે કેમ્બ્રિજના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ઘાસમાંથી પ્રોટીન મેળવવાના જટિલ વિષય પર પીએચ.ડી શરૂ કર્યું હતું. પરંતુ તેમના ગાઈડે ડિપાર્ટમેન્ટ છોડી દેતાં તેમણે નવા ગાઈડના માર્ગદર્શન હેઠળ નવા વિષય પર સંશોધન કરવાની ફરજ પડી હતી. આ વખતે તેમણે પ્રાણીઓના શરીરમાં ચયાપચયની ક્રિયા માટે જવાબદાર એવા લાઈસીન એટલે કે એમિનો એસિડ પર સંશોધન કરીને વર્ષ 1943માં પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી.

પીએચ.ડીનું સંશોધન પૂરું કર્યાં બાદ સેંગરે કેમ્બ્રિજના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રીના સંશોધક ચાર્લ્સ ચીબનોલ અને તેમનાં સાથી વૈજ્ઞાનિકો સાથે કામ શરૂ કર્યું. ચીબનોલ માનવ જીવન માટે મહત્ત્વના એવાં પ્રોટીનના બંધારણ પર સંશોધન કરી રહ્યાં હતાં. સેંગરે ચીબનોલ સાથે કામ સંભાળ્યું ત્યારે તેઓ પાર્ટિશન ક્રોમેટોગ્રાફી (તત્ત્વોના મિશ્રણને લેબોરેટરીમાં જુદા પાડવાની પદ્ધતિ) દ્વારા પ્રોટીન વિશેના સંશોધનમાં ઘણાં ઊંડા ઉતરી ગયા હતાં. આ દરમિયાન ચીબનોલ સહિતના વિજ્ઞાનીઓએ પ્રોટીનમાં એમિનો એસિડની હાજરી રહેલી હોય છે એ વાત પર મ્હોર મારી દીધી હતી. પરંતુ હજુ સુધી કોઈ વિજ્ઞાની પ્રોટીનમાં એમિનો એસિડની તાત્ત્વિક હાજરી તેમજ તેના પ્રકાર અને પરમાણુમાં તેમની ગોઠવણી કયા પ્રકારની છે એ વિશે માહિતી મેળવી શક્યો ન હતો. આથી આ કામમાં ઊંડા ઉતરવાની જવાબદારી સેંગરને સોંપાઈ.

જોકે આવા સંશોધનો કરવા માટે આર્થિક સદ્ઘરતાની જરૂર રહે છે જે સેંગર પાસે નહોતી. આથી ચીબનોલ સાથે મળીને તેમણે કેમ્બ્રિજના મેડિકલ રિસર્ચ કાઉન્સિલ પાસે ગ્રાન્ટની માંગણી કરી પણ કાઉન્સિલે પ્રોટીનમાં એમિનો એસિડની સંખ્યા રેન્ડમ હોય છે એવું કહીને તેમની માંગણી ફગાવી દીધી. જોકે પાછળથી આ વાતનું મહત્ત્વ સમજતા કાઉન્સિલે તેમને સંશોધનો માટે થોડી રકમ ફાળવી આપી હતી. આમ, સેંગરે પ્રોટીનમાં એમિનો એસિડની હાજરી શોધવાનું કામ શરૂ કર્યું અને સતત દસ વર્ષ સુધી એમિનો એસિડમાં રહેલા પરમાણુઓનું સુવ્યવસ્થિત માળખું તૈયાર કરીને તેનેએ ચેઈનઅનેબી ચેઈનમાં વિભાજિત કર્યું.

આ માટે તેમણે ચીલાચાલુ પદ્ધતિનો ત્યાગ કરીને તેમની અલગ પદ્ધતિ વિકસાવી હતી. આ ઉપરાંત એક ખાસ માર્કિંગ એજન્ટ વડે પ્રોટીનમાં રહેલા એમિનો એસિડની લાંબી ચેઈનને નાના ટુકડામાં વર્ગીકૃત કરી. આજે તેમની આ ખાસ માર્કિંગ એજન્ટ પદ્ધતિનેસેંગર એજન્ટતરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમણે પ્રોટીનમાં રહેલા પરમાણુઓના બંધારણ અને તેમની રચના અંગેનું તબક્કાવાર વિશ્લેષણ કર્યું. આ લાંબા સંશોધન બાદ તેમણે પહેલી વખત દુનિયા સમક્ષ રજૂ કર્યું કે પ્રોટીનમાં એમિનો એસિડની અનોખી શૃંખલા રહેલી હોય છે, જેમાં ત્રિપરિમાણીય માળખું પણ હોય છે અને આ કારણે જ પ્રોટીન વિશિષ્ટ ગુણધર્મ પણ ધરાવે છે! વર્ષ 1953 સુધીમાં  સેંગરે માત્ર પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના ચોક્કસ ક્રમ જ નહીં પણ વિવિધ સસ્તન પ્રજાતિઓના શરીરમાંના ઈન્સ્યુલિનમાં રહેલા સૂક્ષ્મ તફાવતો અને તેમની વચ્ચેની ચોક્કસ ભેદરેખાઓ પણ રજૂ કરીને જીવરસાયણશાસ્ત્ર ક્ષેત્રે ઉથલપાથલ મચાવી દીધી હતી. તેમનાં આ સંશોધનને પગલે વર્ષ 1958માં તેમને રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું.  

વર્ષ 1960 સુધીમાં સેંગર કેમ્બ્રિજની મોલેક્યુલર બાયોલોજીના મેડિકલ રિસર્ચ કાઉન્સિલના ચીફ સાયન્ટિસ્ટ બની ગયા હતાં. હવે તેમને ન્યુક્લિક એસિડ અને ડીએનએ તેમજ આરએનએમાં રસ પડવા માંડયો હતો. આથી તેઓ આ ક્ષેત્રોમાં સંશોધન માટે મંડી પડ્યા હતાં. વીસ વર્ષના ગાળામાં તેમણે પહેલી વખત ડીએનએની ક્રમાંક પદ્ધતિ વિકસાવી હતી. અહીં પણ તેમણે એમિનો એસિડની શૃંખલા વિભાજિત કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો એ જ પદ્ધતિને કામે લગાડી હતી. જોકે આ સંશોધનમાં સેંગરની સાથે અન્ય બે વિજ્ઞાનીઓ પણ સંકળાયા હતાં, જેમની સાથે મળીને તેમણે વર્ષ 1977માં આજના આધુનિક જિનોમ વિશ્લેષણ માટે અતિ મહત્ત્વની કડી સાબિત થઈ રહેલીડાઈડિઓક્સીપદ્ધતિ આપી. આ પદ્ધતિ હવેસેંગર મેથડતરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ અને આરએનએના વિભાજન તેમજ તેની ઓળખ માટે સેંગરે 25 વર્ષ સુધી કરેલા મહત્ત્વપૂર્ણ સંશોધનો માટે વર્ષ 1980માં તેમને ફરીથી રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. જોકે આ વખતે તેમને વોલ્ટર ગિલ્બર્ટ અને પોલ બર્ગ સાથે સયુંક્ત રીતે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.


કેમ્બ્રિજમાં તેમને માથે કેટલીક વહીવટી જવાબદારીઓ પણ આવી હતી હતી, પરંતુ વહીવટો કરવા કરતા તેમને સંશોધનોમાં વધુ રસ હતો. આથી જવાબદારીઓ સંભાળવા કરતા તેઓ આજીવન સંશોધનોમાં જ મગ્ન રહ્યાં. સેંગરે વર્ષ 1940માં માર્ગારેટ જોન હોવ સાથે લગ્ન કર્યાં હતાં. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે તેમની પત્નીનો વિશેષરૂપે આભાર માનતા કહ્યું હતું કે, “...સાયન્સ બેકગ્રાઉન્ડ નહીં ધરાવતી હોવા છતાં મારી પત્નીએ મારા સંશોધનોમાં મને ઘણી મદદ કરી છે.” વર્ષ 1985ના વર્ષમાં તેમણે નિવૃતિ લીધી એ પછી તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાર્ડનિંગ શીખવામાં અને કરવામાં કેન્દ્રિત કર્યું હતું. ફ્રેડરિક સેંગર બ્રિટનની એકમાત્ર અને વિશ્વની ચોથી એવી વ્યક્તિ હતી જેમને બે વખત નોબેલ પ્રાઈઝ એનાયત થયું હોય. સેંગરના જીવન પરથી ખ્યાલ આવે છે કે, એમને કોલેજ કાળથી વર્ષ 1985માં નિવૃત થયાં ત્યાં સુધી અનેક વખત જુદાં-જુદાં વિષયો પર સંશોધન કરવાનું આવ્યું હતું. પરંતુ બીજી બાબતોમાં સપડાયા વિના તેમણે દરેક વખતે તે વિષયોમાં પોતાને અને તેમના કામને શ્રેષ્ઠતમ પુરવાર કર્યાં હતાં




બે વખત નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાંરા નોબેલ લોકો..

વિશ્વમાં બે વખત નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર માત્ર ચાર વ્યક્તિ છે. મેરી ક્યુરીને વર્ષ 1903માં ભૌતિકશાસ્ત્રમાં રેડિયેશન પર નોંધપાત્ર સંશોધન કરવા બદલ નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું. વર્ષ 1911માં રેડિયમની શોધ માટે ફરીથી તેમને રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું. તો જોન બાર્ડિન નામના ભૌતિકશાસ્ત્રીને પણ ભૌતિકશાસ્ત્રમાં વિવિધ સંશોધનો કરવા બદલ અનુક્રમે વર્ષ 1956 અને 1972માં નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. અમેરિકાના જીવરસાયણશાસ્ત્રી લિનસ પોલિંગને વર્ષ 1954માં રસાયણશાસ્ત્રનો અને 1986માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું. તો આપણે આગળ જોઈ ગયાં એમ ફેડરિક સેંગરને પણ જીવરસાયણ શાસ્ત્રમાં તેમનાં અમૂલ્ય યોગદાનને પગલે વર્ષ 1958 અને 1980માં રસાયણશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. 

Saturday, October 19, 2013

ભાઇ, અમારું ટો ઘારી કલ્ચર


ભાઇ ઓણ ઘારી ખાવાના કેની?’

ખાવાના જ કેની. ઘારી વગર રેવાય કે?’

પણ ઘારીના ભાવ બો વધી ગીયા એમ કેય?’

ભાવનું હું? એ તો વયધા કરે. ભાવ વધે એટલે આપણે ખાવાનું થોડું માંડી વાળવાનું?’

હમણાં સુરતીલાલાઓ દેશ-દુનિયાના બાકી બધા મહત્ત્વનાં મુદ્દાઓ બાજુએ રાખીને માત્ર ઘારી અંગેની ગહન ચર્ચાઓમાં જ પડ્યા હશે એ વાતમાં કોઇ બે મત નથી. કારણકે, ચંદની પડવો નજીક છે અને સુરત માટે ચંદની પડવો એટલે ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ! આમ પણ આ શહેરનું કલ્ચર જ કંઇક અલગ છે, જ્યાં મોટા ભાગના તહેવારોમાં અને સામાન્ય દિવસે ખાણી-પીણીની ચીજોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. બાકી, ‘સુરતનું જમણ અને કાશીનું મરણઅમસ્તુ જ થોડું કહેવાય છે?

આ શહેરે આમ તો ગુજરાતને અને દેશને ઘણી બધી વાનગીઓ આપી છે. જેમાં લોચો, ઇદડા અને રસાવાળા ખમણ કે આલુપુરી જેવી વાનગીઓનો સમાવેશ કરી શકાય. પણ એ બધી વાનગીઓમાં ઘારી દેશ-વિદેશમાં અત્યંત વખણાઇ છે. ચંદની પડવાના પંદર વીસ દિવસ પહેલા જ સુરતી લાલાઓ ઘારી ખરીદવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દે છે અને દેશદેશાવરમાં રહેતા પોતાનાં ભાઇભાડુંઓને થોકબંધ ઘારી મોકલવાની તજવીજ શરૂ કરી દે છે. ઘારી સુરત શહેરની સંસ્કૃતિમાં વણાઇ ગયેલી વાનગી છે. શરદપૂનમ તો આખા ગુજરાતમાં ઉજવાય છે પરંતુ ઘારી ખાવા માટેનો આ વિશેષ ઉત્સવ માત્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં જ ઉજવવામાં આવે છે. ચંદની પડવાને દિવસે સુરતનાં લોકો ઘારી સાથે ભૂંસું લઇને શહેરનાં રસ્તાઓ પર ઉતરી પડે છે અને ગૌરવ પથનાં ફૂટપાથ પર અથવા પોતાનાં મકાનને ઘાબે જઇને લહેરીલાલાઓ લહેરથી ઘારી અને ભૂંસાની જિયાફત ઉડાવે છે.

ઘારીનો ઇતિહાસ બહુ જૂનો નથી. લગભગ ૧૫૦થી ૨૦૦ વર્ષ જૂનો જ ગણોને. ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. આજે ચંદની પડવાના તહેવાર નિમિત્તે લગભગ ૨૦ હજાર કિલોથી વધુ ઘારીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

દેવશંકર શુક્લાએ ૧૮૩૮માં સુરતનાં લાલગેટ પાસેદેવશંકર ઘારીવાળાનાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી. હતી ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. ૧૮૫૭નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો. આથી ત્યારથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.

જોકે ચંદની પડવાના તહેવાર વિશે એક લોકવાયકા એવી પણ છે કે સુરતનાં ખલાસીઓનું .ખાવા માટે જાય છે. જોકે આ વાયકામાં તથ્ય કેટલુ છે એ વિશે કંઇ નક્કી નથી. પરંતુ એક વાત સાચી કે શરૂઆતનાં વર્ષોમાં સુરતનાં લોકો મરણ વખતે જ ઘારી ખાતા. પણ સમય જતાં આ પ્રથામાં મસમોટું ગાબડું પડ્યું અને સુરતી લાલાઓએ દુખદ પ્રસંગોએ ખવાતી ઘારીને ચંદી પડવાના ઉત્સવ સાથે સાંકળીને ઘારીપર્વ જ ઊજવવાનું શરૂ કરી દીધુ!

શરૂઆતી વર્ષોમાં રવા અને ઘીમાંથી સાદી ઘારી બનતી હતી. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ ઘારીની બનાવટમાં  પણ જાતજાતનાં પ્રયોગો થતા રહ્યાં, જેને પગલે આજે બજારમાં ત્રણ ચાર પ્રકારની ઘારીઓ ઉપલ્બધ છે. હમણાં મુખ્યત્વે બજારમાં ત્રણ પ્રકારની ઘારીઓ મળે છે. જેમાં એક સાદી એલચી ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર બદામ પિસ્તા ઘારી મુખ્ય છે. આ ઉપરાંત બાળકોને ભાવે એવી ચોકલેટ ઘારી અને મેંગો મેજીક જેવી ઘારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. મજાની વાત એ છે કે ડાયાબિટીસનો ભોગ બનેલા અને મીઠી વાનગીઓના શોખીન સુરતી લાલાઓના ચંદની પડવાના રંગમાં ભંગ પડે એ માટે છેલ્લાં કેટલાક વર્ષોથી સુગર ફ્રી ઘારી પણ મળે છે. એટલે ડાયાબિટીસ હોય તો શું થઇ ગયું? અમે તો ઘારી ખાવાના એટલે ખાવાના જ.

જોકે કોઇ વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી જ જતી મોંઘવારીની અસર ઘારી પર પણ થઇ છે. ચાલુ વર્ષે બજારમાં ૪૬૦થી ૪૮૦ રૂપિયા કિલો સુધીની ઘારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘારીનાં ભાવમાં કીલો દીઠ ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પણ આ ભાવ વધારો કંઇ નવો નથી. ભાવો તો દર વર્ષે જ વધતા જ હોય છે. પરંતુ એનાથી સુરતનાં લોકોને કંઇ બહુ ફરક પડતો નથી. અહીં જથ્થાબધ ઘારી ખરીદાય છે અને ખવાય છેસુરત સહિત ગુજારાતભરમાં પોતાની ઘારી માટે પ્રખ્યાત એવા શાહ જમનાદાસ ઘારીવાલાનાં કુંજન ઘારીવાલાએ ગુજરાત ગાર્ડિયનને જણાવ્યું હતું કે, ‘સાર્વત્રિક વધતી મોંઘવારીને પગલે સ્વભાવિક છે કે ઘારી અને મીઠાઇઓનાં ભાવમાં પણ વધારો થાય, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પણ થાય. પરંતુ કોઇ પણ વસ્તુ પર સીધો કાપ મૂકવો સુરતીઓનો સ્વભાવ નથી. એટલે કિલો ઘારી ખરીદતો ગ્રાહક પાંચસો ગ્રામ લેશે, પણ સમૂળગી જ ઘારી નહીં ખાય એવું તો નહીં જ બને.’

ગયા વર્ષનાં આંકડા મુજબ ગયે વર્ષે સુરતનાં લોકો ચંદની પડવાનાં તહેવાર નિમિત્તે કુલ આઠ કરોડ રૂપિયાની એક લાખ વીસ હજાર કિલો ઘારી અને ભૂંસુ પેટમાં પધરાવી ગયા હતાં. ચંદની પડવાનાં ઉત્સવને સુરતી લોકોએ તેમની અનોખી ઉજવણી વડે એટલો તો પ્રખ્યાત કરી દીધો છે કે હવે કારતક વદ એકમ એટલેકે ચંદની પડવાના દિવસે ગુજરાતી કેલેન્ડરોમાંસુરત-ડુમસ ઉત્સવપણ લખાયેલું હોય છે. ખાણી પીણી માટેનો આ એકમાત્ર એવો ઉત્સવ હશે કે આ દિવસે સુરત પોલીસે સુરતનાં રસ્તાઓ પર અને ખાસ કરીને ગૌરવપથ તરફનાં વિસ્તારોમાં વિશેષપણે બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે.

સુરતનાં લોકોને ઘારીનો એવો તો ક્રેઝ છે કે અહીંના લોકો શરદ પૂનમનાં દિવસથી ઘારી ખાવાનું શરૂ કરી દે છે અને ચંદની પડવાના બીજા દિવસ સુધી તેઓ ઘારી ખાય છે. હવે આ વર્ષે કેટલી ઘારી ખવાશે એ જોવું રહ્યું. પરંતુ આ શનિવારે ચંદની પડવો આવી રહ્યો છે અને બજારોમાં મીઠાઇવાળાઓને ત્યાં ઘારીનાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયાં છે. અને વિદેશમાં વસતા સુરતી લાલાઓ અને ગુજરાતીઓને માટે જથ્થાબંધ ઘારી પહોંચી પણ ગઇ છે. આ વર્ષે ઘારી વધુ માત્રામાં ખવાશે કે ઓછી એ તો પછીનો મુદ્દો છે પણ આ વખતે ઘારી બહું જ ટેસથી અને જલસાભેર ખવાશે એ વાત પાકી. કારણકે આ વર્ષે ચંદની પડવો વિકએન્ડમાં આવી રહ્યો છે આથી સુરતી લોકો વિકએન્ડનો પૂરેપૂરો લાભ ઊઠાવશે.


તમે સુરતમાં રહેતા હો અને મૂળ સુરતના નહીં હો તો તમે પણ અસલ સુરતીઓની જેમ કંદોઇની દુકાને જઇને ઘારી ખરીદજો અને અદ્લ સુરતી સ્ટાઇલમાં ચંદ્રની શીતળ ચાંદનીમાં શહેરનાં ફૂટપાથો પર બેસીને ભૂંસુ અને કોલ્ડ્રિંક્સની મિજલસ માણજો. આખરે કોઇ પણ શહેરને જાણવું હોય અને માણવું હોય તો તે શહેરનાં કલ્ચરથી સુપેરે પરિચિત થવું પડે. અને ભાઇ, અમારું કલ્ચર ટો ખાણીપીણીનું છે. લોચા ખમણનું અને ઘારીનું છે! અમારી વાત તો ખાવાથી જ શરૂ થાય ને પતે હો ખાવાથી જ!

Tuesday, October 8, 2013

પશ્ચિમનાં સૂરોનાં ખરા ઉસ્તાદઃ ઝુબીન મહેતા

હમણાં થોડાં દિવસો અગાઉ કાશ્મીરમાં સંગીતનાં એક કાર્યક્રમને લઇ ભારે વિવાદ મચ્યો હતો. કાશ્મીરનાં વિરોધ પક્ષો અને અલગતાવાદીઓએ ગઇ સાતમી સપ્ટેમ્બરે યોજાનારાં એક કાર્યક્રમને અટકાવવા માટે ભારે મથામણ કરી હતી. કાશ્મીર ખીણમાં યોજાઇ ગયેલો તે કાર્યક્રમ હતો વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંડકટર ઝુબીન મહેતાનોઅહેસાસ--કાશ્મીર’! જેને યોજવા પાછળનો મુખ્ય હેતુ જ એ હતો કે છેલ્લાં કેટલાક વર્ષોથી ખીણમાં ચાલી રહેલા તણાવને સંગીતનાં માધ્યમથી ઓછો કરી શકાય. પરંતુ જેની પ્રકૃતિમાં જ શાંતિ પામવુ નથી લખ્યું એવા અલગતાવાદીઓએ અને અન્ય વિઘ્નસંતોષીઓએ તેમાં વિરોધનાં સૂર રેલાવવા છતાં તેમને સફળતા હાંસલ થઇ ન હતી. શ્રીનગરમાં દાલ સરોવર નજીકનાં શાલીમાર ગાર્ડનમાં યોજાયેલા ઝુબીન મહેતાના આ કાર્યક્રમને અસાધારણ સફળતા મળી હતી, સેંકડો હિંદુ-મુસ્લિમોએ સાથે બેસીને સંગીતનાં આ જલસાની મિજલસ માણી હતી.


અહેસાસ--કાશ્મીરકાર્યક્રમને લઇને કાશ્મીરમાં થયેલાં વિવાદની સાથે ઝુબીન મહેતાનું નામ ફરી માધ્યમોમાં ઝળક્યું છે. જોકે આખાય વિવાદમાં ઝુબીન મહેતાની ભૂમિકા અત્યંત કાબિલેદાદ રહી હતી. કારણકે સામાન્ય રીતે જ્યારે આવા કોઇ વિવાદો વકરે છે ત્યારે કલાકારો પણ અળવીતરા વિધાનો કરીને વિવાદની આગમાં  ધુમાળામાં ફૂંક મારવાનું કામ કરવામાંથી બાકાત નથી રહી શકતાં.  પરંતુ ઝુબીન મહેતા ખુદ આખા વિવાદથી થોડાં છેટા રહ્યાં અને કશુંય બોલ્યા વિના કાશ્મીરના લોકોને એક ઉત્તમ કક્ષાનો સંગીતનો જલસો કરાવી ગયા. તો ઠીક, જતાં જતાં એમ પણ કહેતા ગયા કે કાશ્મીર તેમને ફરી બોલાવશે તો તેઓ ફરીથી કાશ્મીર આવવાનું પસંદ કરશે. વેસ્ટર્ન મ્યુઝિક પસંદ કરતી અને તેનાં તાલે ઠુમકા લગાવતી આજની યુવા પેઢી કદાચ ઝુબીન મહેતાનાં નામથી અપરિચિત પણ હોઇ શકે છે પરંતુ ઝુબીન મહેતા આંતરરાષ્ટ્રીય સંગીતમાં ઘણું મોટુ અને સન્માનનીય નામ છે.

૧૯૩૬ની ૨૯મી એપ્રિલે મુંબઇનાં પારસી પરિવારમાં જન્મેલા ઝુબીન મહેતાને સંગીત વારસામાં જ મળ્યું હતું. બોમ્બે સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં શોધક અને અંગ્રેજોનાં જમાનાનાં વાયોલિન વાદક એવા સંગીતકાર પિતા મેહલી મહેતા પાસેથી તેમણે પ્રારંભિક સંગીતની તાલીમ લીધી હતી. બાદમાં પ્રી-મેડિકલની તૈયારીઓ કરતા કરતા ૧૯૫૪માં એક દિવસ ઝુબીન મહેતાએ માત્ર સંગીતમાં જ કારકિર્દી બનાવવાનાં આશયથી ઓસ્ટ્રિયાના વિયેનાની વાટ પકડી અને ત્યાં વિધિવત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. વિયેનાની પ્રખ્યાત એવી એકેડેમી ઓફ મ્યુઝિકમાંથી આજે પણ જેને સમજવાનું તો ઠીક પણ તેને માણવા માટે પણ થોડું માથુ ખંજવાળવુ પડે એવાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનો તેમણે અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં તેમાં પારંગત પણ થયાં. ૧૯૬૧નું વર્ષ આવે ત્યાં સુધીમાં તો ૨૫ વર્ષનાં યુવાન ઝુબીને મ્યુઝિક કંડક્ટર તરીકે કાઠું કાઢ્યું હતું. તેઓ ઓસ્ટ્રિયા, જર્મની અને ઇઝરાયેલ જેવાં દેશોનાં વિવિધ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં કંડક્ટર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યાં હતાં.

હમણાં સુધીમાં ઝુબીન વિશ્વનાં ખ્યાતનામ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક ડિરેક્ટરની ભૂમિકા ભજવી ચૂકયાં છે. તેઓ સંગીતનાં જે ક્ષેત્રમાં એટલેકે વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે એમાં મ્યુઝિક કંડક્ટર અને ડિરેકટર પર જ બધો મદાર રાખવામાં આવતો હોય છે, જેમાં એક વ્યક્તિએ બહુ મોટા એવા વૃંદને એકસાથે સાચવવાનું હોય છે. જો એક વ્યક્તિથી પણ આમતેમ થઇ જાય તો આખા કાર્યક્રમમાં ઉથલપાથલ મચી શકે છે. આમ, આ માટે સંગીતનાં જ્ઞાનની સાથે કુશળ વહીવટનું જ્ઞાન હોવું પણ એકદમ જરૂરી છે. આ બાબતે ઝુબીન એકદમ સવાયા સાબિત થયાં છે, જ્યાં ડઝનબંધ ઓર્કેસ્ટ્રામાં કંડકટરની ભૂમિકા ભજવીને જાતજાતનાં સંગીતકારો સાથે તેમણે ખૂબ જ કુશળતાથી કામ પાર પાડીને અદભુત સંગીત પીરસ્યું છે.

૧૯૬૧થી ૧૯૬૯ સુધી તેઓ કેનેડાનાં પ્રખ્યાત મોન્ટ્રીયલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર રહ્યાં હતાં. આ દરમિયાન તેમનાં જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે વિયેનામાં તેમની પાસે કોઇ કામ ન હતું. પરંતુ તેમનાં કપરા દિવસો દરમિયાન ઇઝરાયેલથી તેમનાં પર એક ટેલિગ્રામ આવે છે કે જો તેમનાંથી ઇઝરાયેલ અવાતુ હોય તો આવી જવું. આથી તેઓ તેમનાં પરિવાર સાથે તાબડતોબ ઇઝરાયેલ પહોંચે છે અને ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર બને છે.

ઇઝરાયેલમાં વર્ષો સુધી સંગીતમાં તેમણે આપેલા વિશિષ્ટ પ્રદાનને કારણે ૧૯૯૧માં ઇઝરાયેલની સરકારે તેમને  ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શનનાં એવોર્ડથી નવાજ્યાં હતાં. આ એવોર્ડ એનાયત કરતી વખતે ઇઝરાયેલનાં તત્કાલીન રાષ્ટ્રપતિ શિમોન પેરેસે તેમના માટે કહ્યું હતું કે, ‘તેઓ ભલે એક સંગીતકાર તરીકે અહીં આવ્યાં હોય પરંતુ આજ સુધી ઇઝરાયેલનાં સંગીતમાં તેમનાં જેટલું પ્રદાન કોઇએ નથી આપ્યું. તેમનાં આ પ્રદાનને કારણે ઇઝરાયેલ હંમેશા તેમનું આભારી રહેશે.’
હમણાં સુધીમાં ઝુબીન મહેતાએ વિશ્વભરમાં કુલ ૩૦૦૦ જેટલાં શૉ કર્યાં છે. ૧૯૭૮થી તેમણેન્યુયોર્ક ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સુકાનપદ સંભાળ્યુ હતું. જે તેમણે છેક ૧૯૯૧ સુધી એટલેકે સતત તેર વર્ષ સુધી સુપેરે સંભાળ્યું હતું. આ સાથે જ વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રાના ઇતિહાસમાં તેમણે એક નવો વિક્રમ સર્જયો હતો, કારણ કે એ પહેલાં(પછી પણ!) સતત તેર વર્ષ સુધી કોઇ ડિરેક્ટર પદ પર રહી શક્યુ ન હતું. વૈશ્વિક સ્તર પર આટલી બધી નામના મળવા છતાં ઝુબીન મહેતા એકદમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તેમની સફળતા માટે સાવ નિખાલસતાથી કહે છે કે તેમને અજાણતામાં જ આટલી બધી સફળતા મળી હતી. બાકી તેમણે સફળતા તરફ ક્યારેય તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. તેમનાં મતે તો તેમણે તેમનું બધું ધ્યાન તેમનાં સંગીત પર જ કેન્દ્રિત કર્યું હતું.

સંગીતમાં તેમનાં પ્રદાનને પગલે ભારત સરકારે તેમને ૧૯૬૬માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં તો ૨૦૦૧માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તો હમણાં જ તેઓ કાશ્મીરનાં કાર્યક્રમ માટે આવેલા ત્યારે આપણાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને ટાગોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલમાં ઝુબીન મહેતા ૭૭ વર્ષનાં છે અને છતાં તેઓ વિશ્વભરમાં વિવિધ જ્ગ્યાએ સંગીતનાં શૉ કરે છે. આટલી ઉંમરે પણ તેઓ એકદમ ફિટ અને તરોતાજા છે. આ કદાચ તેમનાં સંગીતની જ કમાલ હશે કે શારીરિક રીતે વૃદ્ધ લાગતી આ વ્યક્તિ હજુય એક જુવાનીયા જેવી તાજગી અને કાર્યક્ષમતા ધરાવે છે.


ઝુબીનનું ઇન્ડિયા કનેકશન

ઝુબીન મહેતા દર બે વર્ષે અચૂકપણે ભારતની મુલાકાત લે છે. તેઓ મુંબઇમાં તેમનાં સંગીતકાર પિતાની યાદમાં મેહલી મહેતા મ્યુઝિક ફાઉન્ડેશનનામની એક સંગીત એકેડમી પણ ચલાવે છે. આ મ્યુઝિક એકેડમી દ્વારા તેઓ તેમનાં પિતાનું ઋણ અદા કરે છે. તેમનાં પિતાની હંમેશાથી એક ઇચ્છા હતી કે ભારતનાં વિદ્યાર્થીઓને પણ વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિક શિખવાની તક મળે. જેથી આ મ્યુઝિક એકેડમીમાં બાળકોને પશ્ચિમી પારંપરિક સંગીતની તાલીમ આપવામાં આવે છે. હાલમાં જ કાશ્મીરનાં કાર્યક્રમ માટે તેઓ જ્યારે ભારત આવ્યાં હતાં ત્યારે તેઓ મુંબઇમાં પોતાની સ્કૂલ સેંટ મેરીની મુલાકાતે પણ ગયાં હતાં. આ દરમિયાન તેમણે સ્કૂલનાં બાળકો સાથે તેમનાં કેટલાંક બાળપણનાં સંભારણા રજૂ કર્યાં હતાં. આ દરમિયાન તેમણે હિન્દી ન શીખી શક્યાની દિલગીરી વ્યકત કરી હતી. ઉપરાંત બાળકો આગળ તેમણે ભારત અને ખાસ કરીને મુંબઇ શહેરનાં પેટ ભરીને વખાણ કર્યા હતાં. સ્કૂલનાં બાળકો સાથે ભાંગ્યા તૂટયા હિન્દીમાં વાત કરતી વખતે તેઓ અત્યંત ભાવુક પણ થઇ ગયાં હતાં.

ઉત્કૃષ્ટ નાટકોની ભરમાર સન્ડે ટુ સન્ડે

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સનું એક દ્રશ્ય
અમદાવાદ સહિત ગુજરાતભરનાં નાટ્યરસિકોને દેશનાં શ્રેષ્ઠત્તમ નાટકો માણવાનો લાભ મળી રહે એ માટે અમદાવાદ સ્થિત દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સેગયાં વર્ષથી એક અદભુત કાર્યક્રમ હાથ ધર્યો છે. આ કાર્યક્ર્મ હેઠળ સતત એક અઠવાડિયા સુધી દેશભરનાં દિગ્ગજ નાટ્યકારો અને નાટ્યકલાકારો અમદાવાદ ખાતે ભેગા થાય છે અને નાટ્યરસિકોનાં એક મોટા વર્ગને દેશનાં અદભુત નાટકોની મિજલસ કરાવે  છે. દર્પણ એકેડમી દ્વારા ઉજવવામાં આવતો આ કાર્યક્રમ છેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલ’, જે હેઠળ એક રવિવારથી બીજા રવિવાર સુધીનાં દિવસોમાં આઠ નાટકોની ભજવણી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે હજુ હમણાં જસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલભજવાઇ ગયો. જેમાં ગુજરાત સહિત મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદ જેવાં શહેરોનાં રંગકર્મીઓએ વારાફરતી રોજ પોતાનાં એક એક નાટક ભજવ્યા અને વરસતા વરસાદની વચ્ચે દર્શકોને નાટકોનાં રસમાં તરબોળ કરીને એકથી એક અદભુત નાટકોની ભેટ આપી. દર્પણ એકેડમી અનેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલસાથે સંકડાયેલા અભિનય બેંકર ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ નાટ્ય મહોત્સવનું આયોજન કરવાનો મુખ્ય આશય જ એ છે કે રંગભૂમિના ચાહકોને એક જ સ્થળે રાજ્ય ઉપરાંત દેશ-વિદેશનાં સારામાં સારા નાટકો માણવાનો લ્હાવો આપી શકાય. આ સાથે જ દેશની વિવિધ સંકૃતિઓનો સમન્વય પણ થાય જેનો સીધો લાભ નાટ્યરસિકોને મળી રહે.’  

ખેર, અમદાવાદ ખાતે હાજર નાટ્યરસિકોએ તો આ તમામ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો પણ એ લોકોનું શું જેઓસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલમાં નથી પહોંચી શક્યાં? વેલ, તેઓ માટે પ્રસ્તુત છે આ તમામ નાટકોની ઝાંખી જેથી મહોત્સવમાં નહીં પહોંચી શકેલા નાટ્ય ચાહકોને પણ ત્યાં ભજવાયેલા નાટકો વિશે યોગ્ય જાણકારી મળી રહે. આ નાટ્ય મહોત્સવમાં ભજવાયેલા તમામ નાટકો સામાન્ય રીતે ભજવાતા નાટકોથી થોડાં હટકે કહી શકાય એવાં હતાં.




વન ઓન વન
વન ઓન વનનું એક દ્રશ્ય
સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલનાં પહેલા દિવસે એટલેકે ૨૯મી સપ્ટેમ્બરે નટરાણી ખાતે સૌથી પહેલાંવન ઓન વનનાટક ભજવાયુ હતું. આ નાટકની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં જુદાં જુદાં દસ કલાકારોએ અલગ અલગ દસ મોનોલોગ રજૂ કર્યાં હતાં. નાટકની અંદર તમામ પાત્રો અલગ અને તમામની વાત પણ અલગ. આ તમામમાં જો કોઇ સામ્યતા રહેલી હોય તો એ મુંબઇ શહેર છે! ‘વન ઓન વનનાટકનું દરેક પાત્ર મુંબઇ શહેર સાથે કોઇને કોઇ સંબંધ ધરાવે છે. આ નાટકમાં કોઇ પાત્ર મૂળ મુંબઇ શહેરનું જ છે તો કોઇક બહારથી હિજરત કરીને મુંબઇ આવે છે. કોઇ બોલિવુડમાં પોતાની કારકિર્દી બનાવવા આવ્યું છે તો આ નાટકમાં એક પાત્ર ખુદ મુંબઇ શહેરની સ્ટ્રીટ લાઇટનું જ છે! હિંદી, ઇંગ્લિંશ અને હિંગ્લીશ એમ કુલ ત્રણ ભાષામાં ભજવાયેલું આ નાટક વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતું. આ નાટક કોઇ વ્યક્તિ દ્વારા લિખિત કે નિર્મિત નથી. વન ઓન વનમાં રજીત કપૂર, અમિત મિસ્ત્રી, અનુરાધા મેનન અને ઝફર કરાંચીવાલા જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં કલાકારોએ મોનોએક્ટિંગ કરી હતી તો કુણાલ રોય કપૂર, રણજીત કપૂર અને નાદીર ખાન જેવાં દિગ્દર્શકોએ તેનાં દિગ્દર્શનની કમાન સંભાળી હતી.

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ
જીવનની રોજ બરોજની ઘટમાળથી થાકેલો એક માણસ બારમાં બેઠે બેઠો વાઇનનાં ઘૂંટડા ગટગટાવે છે અને અચાનક એક માણસ ત્યાં આવીને તેનો જામ પોતાનાં હાથમાં લઇ લે છે. આથી પીવા બેસેલો માણસ ખિન્નાઇને તેને પૂછે છે કે યે ક્યાં બેહુદગી હે. તો પેલો માણસ પીવા બેસેલી વ્યક્તિને પોતાની ઓળખાણ આપતા કહે છે કે તે પોતે ભગવાન છે. નાટ્યમહોત્સવને બીજે દિવસે વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ નાટક ભજવાયું હતું, જેમાં દારુ પીનાર વ્યક્તિનું પાત્ર અભિનેતા સાયરસ દસ્તૂરે ભજવ્યું હતું તો ભગવાનનું પાત્ર ભજવ્યું હતું ટોમ અલ્ટરે!
નાટકની શરૂઆતનાં તબક્કામાં ભગવાને એટલેકે ટોમ અલ્ટરે પીનાર વ્યક્તિ પાસે પોતે ભગવાન છે એની ભાંગજડ કરવી પડે છે. બાદમાં ભગવાન અને માણસ વચ્ચેનાં રસપ્રદ સંવાદોથી ધીમે ધીમે નાટકનો ઉઘાડ થાય છે. નાટકમાં પીનાર વ્યક્તિ ઇશ્વરને હાલમાં ખાડે ગયેલું સમાજકારણ અને રાજકારણને સુધારી આપવાની વાત કરે છે. તો ભગવાન માણસની આગળ સાંપ્રત સમયમાં માણસે પૃથ્વી પર કરેલાં પરિવર્તનો અને ઉપદ્રવો પર કટાક્ષબાણ છોડે છે અને તેને જણાવે છે કે તેની જવાબદારી માત્ર પૃથ્વી અને માણસનાં સર્જનની હતી. આ પછી જે ખુવારીઓ થઇ છે એ ખુવારીઓ માટે માણસ જવાબદાર છે આથી તેને સુધારવાનું કામ પણ માણસનું જ છે. લગભગ સવા કલાકના આ નાટકમાં ટોમ અલ્ટર અને સાયરસ દસ્તૂર પોતાનાં અદભુત સંવાદો દ્વારા દર્શકોને વ્યાકુળ કરી દે છે.

દાસ્તાન ઢાઇ આખર કી
દાસ્તાન ઢાઇ આખર કી
નાટ્ય મહોત્સવનું ત્રીજુ નાટક હતું દાસ્તાન ઢાઇ આખર કી. દિલ્હીનાં લેખક અને અભિનેતા અંકિત ચઢ્ઢા દ્વારા અભિનિત આ નાટકમાં દાસ્તાનગોઇપદ્ધતિથી નાટકની ભજવણી કરવામાં આવી હતી. ‘દાસ્તાનગોઇએ ફારસી શબ્દ છે, જ્યાંગોઇશબ્દનો અર્થ દાસ્તાન કરવાની એક વિશિષ્ટ ઢબ એમ થાય છે. સાંપ્રત સમયમાં દાસ્તાનગોઇ શબ્દ અને લોકકથાપ્રકાર બંન્ને લુપ્ત થઇ રહ્યાં છે ત્યારે અંકિત ચઢ્ઢાએ આ નાટકમાં કબીરનાં જીવન પર દાસ્તાનગોઇ કરીને રસપ્રદ નાટકની સાથોસાથ એક વીસરાઇ રહેલા વારસાને ફરી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંકિતે આખીદાસ્તાનગોઇમાત્ર એક જ જગ્યાએ બેસીને રજૂ કરી હતી, જેમાં દર્શકો અભિનેતાનાં ઉર્દુ ઉચ્ચારણો પર આફરીન પોકારી ઉઠયા હતાં.

સો મેની સોક્સ
નાટ્ય મહોત્સવનાં ચોથા દિવસે દિગ્દર્શક કસાર ઠાકોર  ‘સો મેની સોક્સનામનું એક જુદાં જ મૂળનું નાટક લઇને આવે છે. આ નાટકની અંદર તિબેટીયન રેફ્યુજીઓની વ્યથાની કથા વર્ણવામાં આવી છે. દિલ્હીની તિબેટીયન રેફ્યુજી કોલોનીમાં એક તિબેટીયન મહિલાને ગોળી વાગતા તે કોમામાં સરી પડે છે, અને બાદમાં આ તિબેટીયન પરિવારે કેટલીય હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. આ નાટકની એક વિશેષતા એ હતી કે નાટકનાં પાત્રો મંચ પર જ પોતાનો ગેટઅપ બદલી લેતા હતાં. એક પાત્ર તેનું ગેટઅપ બદલતું હોય ત્યારે બાકીનાં બે પાત્રો એટલી બખૂબીથી અભિનય કરે છે કે દર્શકોને એની જાણ સુદ્ધાં નથી થતી કે મંચ પરનું ત્રીજુ પાત્ર તેનું ગેટઅપ બદલી રહ્યું છે. આ નાટક જ્યારે ભજવાઇ રહ્યું હતુ ત્યારે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નટરાણીનાં મંચથી પરિચિત લોકોને ખબર જ હશે કે નટરાણીનો મંચ ઓપન એર છે. આમ, જ્યારે તાડામાર વરસાદ તૂટી પડે ત્યારે નાટક અધવચ્ચે બંધ કર્યે જ છૂટકો! પણ કલાકારોએ વરસતા વરસાદમાં પણ પોતાનો અભિનય ચાલુ રાખ્યો  અને ખરા અર્થમાં નાટ્યચાહક કહી શકાય એવા લોકોએ મોટી સંખ્યામાં આ નાટક નિહાળ્યું પણ ખરું!


મેકબેથ ઇન ચોલીએટ્ટમ
કલ્ચર ગાર્ડિયનનાં વાચકોમેકબેથ ઇન ચોલીએટ્ટમથી સુપેરે પરિચિત હશે જ કારણકે અહીં અગાઉ પણ આ વિશે લખાઇ ચૂક્યું છે. નાટ્યમહોત્સવને પાંચમે દિવસે ભજવાયેલા આ નાટકમાં કલાકાર એટ્ટુમનોર પી કાનન કથ્થક નૃત્યની અંદર શેક્સપિયર કૃતમેકબેથલઇને આવ્યાં હતાં. સામાન્ય રીતે અંગ્રેજી નાટકો પ્રાદેશિક ભાષામાં લાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રદેશ મુજબ થોડાં ઘણાં ફેરફારો કરવામાં આવતા હોય છે. પરંતુમેકબેથ ઇન ચોલીએટ્ટમમાં મૂળ નાટકનાં સંવાદો જેમનાં તેમ રાખી તેને ભજવવામાં આવ્યાં હતાં. જોકે અહીં નૃત્યકારે માત્ર પોતાનાં હાવભાવ વડે જ દર્શકોને વશીભૂત કર્યા હતાં. બાકી મેકબેથનાં સંવાદો અને સંગીત અગાઉથી જ એકોર્ડ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યાં હતાં.


સીતાઝ ડૉટર
મલ્લિકા સારાભાઇ બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે, નૃત્ય હોય, અભિનય હોય કે સામાજીક નિસ્બત આ તમામ ક્ષેત્રે તેમણે સદૈવ અગ્રેસર ભૂમિકા ભજવી છે. નાટ્યમહોત્સવને છઠ્ઠે દિવસે મલ્લિકા સારાભાઇએ તેમનું વિશ્વપ્રસિદ્ધસીતાઝ ડૉટરરજૂ કર્યું હતું. અહીં એ કહેવાની જરૂર નથી કે સોલો પર્ફોર્મન્સ ધરાવતું આ નાટક જોયા બાદ દર્શકોનાં પ્રતિભાવ કેવા રહ્યાં હશે. જોકે ત્રેવીસ વર્ષ જૂનાં આ નાટકમાં સાંપ્રત સમયની કેટલીક ઘટનાઓને આવરીને તેમાં કેટલાંક બદલાવ કરવામાં આવ્યાં હતાં. નાટકની શરૂઆતમાં ભગવાન રામે એક ધોબીનાં આક્ષેપ બાદ સીતાની અગ્નિપરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે સીતાએ જે મનોવેદના અનુભવી હતી તેનું મલ્લિકા સારાભાઇએ તાદ્શ વર્ણન કર્યુ હતું, જ્યાં બાદમાં ધીમે ધીમે નાટક વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે થઇ રહેલા સામાજીક અન્યાય સુધી આવી પહોંચે છે. નાટકમાં મલ્લિકા સારાભાઇ વારાફરતી જુદી જુદી વાર્તાઓ નેરેટ કરે છે અને બાદમાં તેમણે પોતે જ તમામ વાર્તાનાં પાત્રોનો અભિનય પણ કર્યો હતો.


ઇસ્મત કી ઓરત
સાતમે દિવસે હૈદરાબાદનું સૂત્રધાર ગ્રુપઇસ્મત કી ઓરતનાટક લઇને આવ્યું હતું. ડિરેક્ટર વિનય વર્માનાં  આ નાટકમાં ઉર્દુનાં પ્રખ્યાત વાર્તાકાર ઇસ્મત ચુગતાઇની વાર્તાઓનાં સ્ત્રી પાત્રો વિશેની વાતો કરવામાં આવી હતી. આ નાટકમાં ઇસ્મત ચુગતાઇની ત્રણ જુદી જુદી વાર્તાઓ ત્રણ જુદા જુદા પાત્રો દ્વારા ભજવવામાં આવી હતી. જેમાં સમાજનું સત્ય અને સમાજનો જુદા જુદા વર્ગની સ્ત્રી તરફનો દ્રષ્ટિકોણ અત્યંત બખૂબીથી દર્શાવાયો હતો.

 

ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી

 

સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલને અંતિમ દિવસે અરુણા ચક્રવર્તીનું ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી રજૂ થયું હતું. અરુણા ચક્રવર્તીની જ નવલકથા જોડાસાન્કોપર આધારિત આ નાટકમાં ટાગોરનાં પરિવાર સાથે સંબંધ ધરાવતી બે સ્ત્રીઓની વાત આલેખવામાં આવી હતી. આ બંને સ્ત્રીઓ તેમનાં પ્રદેશનાં અત્યંત પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાને કારણે તેમણે જાહેર જીવનમાં રાખવી પડતી તકેદારીઓની વાત કરવામાં આવી છે. તો ક્યાંક આ નાટકમાં પ્રતિષ્ઠિત પરિવારની સ્ત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ લાગણીઓ અને સબંધોનાં માપદંડો ધરાવતી દર્શાવાઇ હતી.

 

ગયા વર્ષથી શરૂ થયેલાં આ નાટ્યમહોત્સવ શરૂ કરવા પાછળદર્પણનાં મલ્લિકા સારાભાઇ, યાદવન ચંદ્રન, પ્રિયંકા રામ અને અભિનય બેંકર જેવા અનેક લોકોએ તેમનું અનન્ય યોગદાન આપ્યું છે.

નોંધઃ અહીં લેવાયેલા ત્રણેય ફોટોગ્રાફ્સ ઝેનિથ બેંકરનાં છે.


Friday, October 4, 2013

‘માઇન્ડ ચેન્જ’ કરતી ‘વાઇન્ડ ઓફ ચેન્જ’

એક સમય હતો જ્યારે ગુજરાતમાં શોર્ટ ફિલ્મો અથવા ડૉક્યુમેન્ટરી ફિલ્મો આંગળીને વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં તૈયાર થતી. તેમાંય તે ફિલ્મો મોટે ભાગે કોઇ સંસ્થા માટે અથવા કોઇ કેમ્પેઇન માટે તૈયાર થતી. ગુજરાતમાં પહેલાં બની ચૂકેલી કેટલીક શોર્ટ ફિલ્મ્સની ગુણવત્તા પર મોટા પ્રશ્નો ઊઠતા, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ગુજરાતની નવી પેઢી ઊંચી ગુણવત્તાની એક પરફેક્ટ પેકેજ કહી શકાય એવી દસ્તાવેજી અને શોર્ટ ફિલ્મો તૈયાર કરે છે. હમણાં ગયા સપ્તાહે જ ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની નેશનલ લેવલની ફિલ્મ મેકિંગની એક સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ બહુ ટૂંકા ગાળામાં એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધામાં દેશભરમાંથી ફિલ્મો આવી હતી, જેમાં સુરતની એક ફિલ્મ ગોલ્ડન ફિલ્મ ઓફ ધ યરનો ખિતાબ જીતીને ફર્સ્ટ રનર્સઅપ રહી હતી.

સુરતની એ ફિલ્મ છે, ‘વાઇન્ડ ઓફ ચેન્જ’. આ ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા અને વિવેક દેસાઈ છે. ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં હરીફાઇ શરૂ થયા બાદ સ્પર્ધકોને વિષય આપવામાં આવતો હોય છે. આમ, વિષય અપાયા બાદ સ્પર્ધકોએ પચાસ કલાકના સમયગાળામાં આખી શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. આ ટૂંકા ગાળામાં સ્પર્ધકે ફિલ્મની સ્ક્રિપ્ટિંગથી માંડીને શૂટિંગ, વોઇસઓવર અને એડિટિંગ સુધીની પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે. આમ, જ્યારે ઉતાવળે આંબા પકવવાના હોય ત્યારે ગુણવત્તામાં બાંધછોડ કર્યે જ છૂટકો! પરંતુ  ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધા હોય કે પછી અન્ય કોઇ સ્પર્ધા, આ તમામમાં આવતી શોર્ટ ફિલ્મો બિરદાવી શકાય એ સ્તરની આવતી હોય છે.


પચાસ કલાકના ટૂંકા સમયગાળામાં સુરત ખાતે જ સંપૂર્ણપણે તૈયાર થયેલીવાઇન્ડ ઓફ ચેન્જફિલ્મમાં એક રેડિયો સ્ટેશન પર આરજે નૈનાઆઇ એમ ઇન્ડિયાનામનો એક શૉ હોસ્ટ કરતી હોય છે. આ શૉ દરમિયાન શહેરના લોકો નાગરિક તરીકેની પોતાની નૈતિક જવાબદારીઓ અંગેની ચર્ચાઓ કરતા હોય છે. કોઇ ગંદકી નહીં ફેલાવવાની વાત કરે છે તો કોઇ આંતરજ્ઞાતિય લગ્નો વિશેની વાતો કરે છે. આ રેડિયો શૉની લોકપ્રિયતાને પગલે જેમ સામાન્ય રીતે બનતું હોય છે એમ રાજકારણી પણ વહેતી ગંગામાં પગ બોળે છે. આ દરમિયાન એક નનામી વ્યક્તિ પણ નૈનાને ફોન કરીને દેશની સરકારની સામાન્ય માણસ પ્રત્યેની જવાબદારીઓ અંગેની વાત કરે છે. મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં એક અદના આદમીનો કઈ રીતે ભરડો લેવાય છે તેની વાતો કરે છે. આ સાથે જ ફિલ્મમાંયસ, ઇન્ડિયા કેન ચેન્જસાથેનો દર્શકોને વ્યાકુળ કરી જતો અંત આવે છે.

'વાઇન્ડ ઓફ ચેન્જ'ની ટીમ ટ્રોફી સાથે 
ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ ફિલ્મમાં અમે જો કોઇ એક સંદેશ આપ્યો હોય તો તે એ છે કે આપણે કોઈનું ખરાબ વર્તન બદલવા કરતાં આપણી ખુદની માનસિકતામાં ધરમૂળથી બદલાવ આણવો જોઇએ. જેથી દેશમાં આપોઆપ જ પરિવર્તનનો પવન ફુંકાશે. ‘વાઇન્ડ ઓફ ચેન્જપણ લોકોને આ જ સંદેશ આપે છે’. સ્પર્ધામાં મળેલી આ સફળતા બાદ હવેવાઇન્ડ ઓફ ચેન્જની ટીમ શાળા અને કોલેજો માટે એક કેમ્પેઇન પણ કરવાનું વિચારી રહી છે, જે હેઠળ તેઓ બાળકો અને યુવાપેઢીને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ અને ફરજો અંગેની જાણકારીઓ આપશે. તો ફિલ્મમાં આરજે નૈનાનું પાત્ર ભજવી રહેલી અને રિયલ લાઇફમાં પણ આરજે એવી વિશ્રુતિ શાહ ગુજરાત ગાર્ડિયનને તેમની આખી ટીમની સર્જન પ્રક્રિયા વિશે જણાવતા કહે છે કે, ‘અમારા માટે ઓછી સમય મર્યાદામાં રહીને ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના એકદમ પરફેક્શન સાથે ફિલ્મ તૈયાર કરવાનું કામ અત્યંત કપરું હતું, શોર્ટ ફિલ્મના સર્જનની આખી પ્રકિયા દરમિયાન તમારી સહનશીલતા અને સર્જનાત્મકતાની કસોટી થઈ જતી હોય છે.’

ઓછા સમયમાં આટલા બધા કામ એકસાથે કરવાના હોય ત્યારે ક્યાંક કોઈ ચૂક રહી જ જતી હોય છે. સામાન્ય રીતે ઓછી મુદતમાં તૈયાર થયેલી શોર્ટ ફિલ્મમાં તમારે નાની મોટી બાબતો સામે આંખ આડા કાન કરવા પડે, પણવાઇન્ડ ઓફ ચેન્જમાં વાર્તાતત્ત્વથી લઈને કેમેરાગ્રાફી અને એડિંટિગ કે મ્યુઝિક મર્જિગ સુધીના તબક્કાઓમાં સંતોષકારક કામ થયેલું જણાય છે. આપણે ત્યાં બહુ ઓછો વર્ગ એવો હોય છે જે શોર્ટ ફિલ્મોનો ચાહક હોય છે. ત્યારે સ્થાનિક ધોરણે આ રીતનું ઉત્તમ કામ થાય છે, તેને બિરદાવવું જ ઘટે. બાય ધ વે, ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં આ ફિલ્મને બેસ્ટ યુઝ ઓફ મ્યુઝિકનો એવોર્ડ પણ મળ્યો છે.

Saturday, September 28, 2013

ધ ગુડ રોડનાં રોડમાં રોડાં કેમ?

ધ ગુડ રોડ’. ગયા સપ્તાહે આ ફિલ્મ ૨૦૧૪માં યોજાનારા ઓસ્કાર ફિલ્મમહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી તેની જાહેરાતો થતાં જ ગુજરાતભરમાં હલચલ મચી ગઈ. ગુજરાત આખામાં આ વિશે ચર્ચાઓ થઈ ગઈ કે આ ફિલ્મ ઓસ્કારમાં જવા માટે કેટલી પાત્રતા ધરાવે છે?, અથવા તેમાં ગુજરાતનું અવળુ ચિત્રણ થઇ રહ્યું છે અથવા તેમાં એડિટિંગ કે સંવાદોના ઠેકાણા નથી ને બ્લા..બ્લાબ્લાએડિંટિંગ કે સંવાદોના ઠેકાણા નથી એ વાતમાં એક અર્થ એવો પણ થઈ શકે કે ફિલ્મ વિવેચકોની વાત સાચી છે અને તો આપણી ઓસ્કારની ફિલ્મ સિલેકશન કમિટીને ફિલ્મો વિશે ઝાઝું જ્ઞાન નથી! આ નિર્ણય હવે વાચકોએ જ કરવો રહ્યો. રહી વાત ગુજરાતના ચિત્રણની તો ભલા, આ એક કાલ્પનિક ફિલ્મ હતી. કાલ્પનિક વાર્તાઓ અને બીજી કેટલીય કાલ્પનિક ફિલ્મો કે જેને વાસ્તવિકતા સાથે દૂર દૂર સુધી સંબંધ ન હોય એવી તમામ ફિલ્મો ભારે ટેસથી જોઈને માણનારોઓને એ તમામ ફિલ્મો અને નવલકથાઓ પચી ગઈ અને આ ફિલ્મ જોયા પછી કેમ ખાટા ઓડકાર આવે છે?

અને આમ પણ ઓસ્કારમાં જે  ફિલ્મો ગઈ છે તેમાં ભારતની ગરીબી અને ભારતના લોકોનું પેટિયું રળવાના વિવિધ નુસ્ખાઓ નથી દર્શાવાયા? દુનિયા આખીમાં આમેય ભારત વિશેની છાપ બહુ સારી કહી શકાય એવી નથી. એટલેસ્તો ગયા ૧૬ ડિસેમ્બરની ઘટના બાદ વિદેશીઓ ભારત ફરવા આવતા પણ ગભરાય છે. એટલે એ વિશે ફિલ્મ બહાર નહી મોકલવાથી કોઇ ધરખમ સુધારા નથી થઇ જવાનાં. એ માટે આપણી સમાજ વ્યવસ્થા અને સૂગ ચઢે એવી માનસિકતામાં ધરખમ સુધારાઓ આણવા પડશે. ‘ધ ગુડ રોડફિલ્મની વાર્તા વિશે તો છેલ્લાં એક અઠવાડિયામાં માધ્યમોમાં ઘણું બધુ લખાઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ત્રણ વાર્તાઓની એકબીજા સાથે ગૂંથણી કરવામાં આવી છે. જેમાં એક વાર્તામાં એક મધ્યમ વર્ગીય પરિવાર ગુજરાતમાં વેકેશન માટે આવે છે ત્યારે એક ધાબા પર તેમનું બાળક ખોવાઇ જાય છે તો બીજી એક વર્તામાં પૂનમ નામની એક ૧૧ વર્ષની છોકરીની કથા છે તો ત્રીજી વાતમાં પપ્પુ નામનાં એક ટ્રક ડ્રાઇવરની વાત કરવામાં આવી છે.



જ્ઞાન કોરિયા
ગુજરાત ગાર્ડિયને જ્યારે ધ ગુડ રોડના ડિરેક્ટર જ્ઞાન કોરિયાને આ ફિલ્મ વિશે ગુજરાતમાં વકરેલા વિવાદ અંગે પૂછ્યું તો તેમણે આ અંગે કોઇ પણ પ્રતિભાવ આપવાની મનાઇ કરી હતી. તેમણે સ્પષ્ટપણે માત્ર એટલું જણાવ્યું હતું કે તેમનું કામ ફિલ્મ બનાવવાનું હતું, જેમાં તેમણે તેમનાથી બનતુ કર્યું છે. બાકી વિવાદો સાથે તેમને કોઇ લેવાદેવા નથી. જોકે તેમણે ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ‘આ માત્ર ગુજરાતી ફિલ્મ નથી, પણ ગુજરાતની પૃષ્ઠભુમિનું કથાકેન્દ્ર ધરાવતી એક યુનિવર્સલ ફિલ્મ છે. ઉપરાંત આ એક ફિકશન સ્ટોરી છે જેના પાત્રો ગુજરાતી છે. આથી તે તમામ લોકો ગુજરાતી બોલે છે. આ ફિલ્મ ઓસ્કારમાં જાય એ અમારા માટે જ નહીં, પરંતુ આખા ગુજરાત અને દેશ માટે ગર્વની વાત હોવી જોઇએ.’

નિર્દેશક જ્ઞાનની ફિલ્મધ ગુડ રોડમાં મુખ્ય કલાકારો ઉપરાંતના ઘણા એકટર ગુજરાતી છે. જેમાંના એક પ્રિયંક ઉપાધ્યાય પણ છે. અભિનેતા તરિકેની પોતાની પહેલી જ ફિલ્મ ઓસ્કારમાં જઇ રહી છે એ માટે અમદાવાદનાં અભિનેતા પ્રિયંક ઉપાધ્યાય અત્યંત ખુશ છે. પ્રિયંક ધ ગુડ રોડમાં ટ્રક ક્લિનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રિયંકે આ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યાં છે એવું સાંભળતા જ કોઇ પણ અભિનેતાની જેમ પ્રિયંક પણ અમદાવાદ ખાતે ઓડિશન આપવા ગયો અને સિલેક્ટ થઇ ગયો. સિલેકશન બાદ બીજું બધું બાજુએ રાખીને પ્રિયંકે પોતે અભિનય કેટલો ઉત્તમ કરી શકે એ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. આજે પણ જ્યારે આ ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રીને કારણે જે વાતો થઇ રહી છે એ તરફ પણ બહું ધ્યાન આપતા નથી. પ્રિયંકગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આપણે ત્યાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આથી લોકોધ ગુડ રોડનેવખોડી રહ્યાં છે એ અંગે મને કોઈ દુઃખ નથી. ફિલ્મ જોનાર દરેક વ્યક્તિને તેનો ફિલ્મ વિશે પ્રતિભાવ આપવાનો પૂરેપૂરો અધિકાર છે. પણ તમામ લોકોએ એ વાત પણ સ્વીકારવી જોઇએ કે આ એક કાલ્પનિક વાત છે.’

પ્રિયંક ઉપાધ્યાય
કેટલાક લોકો આ ફિલ્મમાં અભદ્ર ભાષા વપરાઈ છે અને બીભત્સ સીન દર્શાવવામાં આવ્યા છે એવી પણ ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત ક્યાંક ક્યાંક એમ પણ ચર્ચા થઈ કે ફિલ્મના પાત્રોએ યોગ્ય લહેકામાં કે પાત્રની માગ મુજબ ગુજરાતી ભાષા બોલી શક્યા નથી. આ માટે એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) માટે જેમણે આ ફિલ્મ પ્રોડ્યુઝ કરી છે તેમજ આ ફિલ્મમાં ડીઓપી (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી)ની ભૂમિકા ભજવી છે એવા અમિતાભ સિંઘે એવું જણાવ્યું હતું કે, ‘અમે એક એમએમ સીનમાં પણ અશ્લીલતા દર્શાવી નથી. ફિલ્મના તમામ પાત્રો તેમના પાત્ર અને પરિવેશ મુજબની જ ભાષા બોલે છે, જે સ્ક્રિપ્ટની માગ છે. ‘ધ ગુડ રોડની સ્ટોરી ડેવલ્પમેન્ટથી લઈને મ્યુઝિક અને એડિટિંગ સુધીની પ્રક્રિયા સાથે સંકળાયેલા અમિતાભ સિંઘ અમને કહે છે કે, ‘જે વ્યક્તિ છેલ્લી ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતું જ નથી એ પાત્ર માત્ર ગુજરાતી હોવાને નાતે અદ્દલ ગુજરાતી લહેકામાં વાત કઈ રીતે કરી શકે? વાસ્તવમાં પણ એવું બને છે ખરું?’

અમિતાભ એવું માને છે કે ગુજરાતી લોકોની વ્યાવહારિક સૂઝ અને સાહિત્ય તેમજ સંસ્કૃતિ અંગેનું જ્ઞાન ઘણું જ ઊંચુ છે. આથી ગુજરાતના લોકોને જ નક્કી કરવા દો કે આ ફિલ્મમાં કંઈ પણ ઉતરતી કક્ષાનું અથવા વિવાદાસ્પદ છે કે નહીં? બાકી, ઘ ગુડ રોડની આખી ટીમે ક્યારેય ગુજરાતને અવળુ ચિતરવાનો કે કોઇનુંય દિલ દુભાવવાનો પ્રયત્ન કયારેય નથી કર્યો. ફિલ્મમાં જે કંઈ પણ દર્શાવાયું છે એ માત્ર ને માત્ર સ્ક્રિપ્ટની માગ હતી.

ખેર, ફિલ્મોને લઈને ઉભા થતા વિવાદો આપણા માટે નવા નથી. ફિલ્મના જાણકારોને અને ફિલ્મ વિવેચકોને આ ફિલ્મ પસંદ ન આવી હોય એવું બની શકે, પણ આટલા મોટા પ્લેટફોર્મ પર ગોબાચારી થયાની કે એનએફડીસી દ્વારા પ્રોડ્યુસ થઇ છે એટલે ઓસ્કારમાં તેનો રસ્તો સાફ થઈ ગયાની વાત થોડી પાયા વિહોણી લાગે છે. નહીંતર ધ લંચબોક્સઓસ્કારમાં જવી જોઇએ એની તરફેણમાં ઉતરી પડેલી લોબીને એ પણ ખ્યાલ તો હશે જ કેધ લંચબોક્સપણ એનએફડીસીનું જ સંતાન છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ફિલ્મને લઇને ફિલ્મ વિવેચકોએ ફલાણાનાં ઠેકાણાં નથી ને ઢીકણું બરાબર નથીનો ભારે શોરબકોર મચાવ્યો છે.  


ફિલ્મ જાણકારો તેમની જાણકારી મુજબના પ્રતિભાવો આપે એ ઠીક છે, પણ જે લોકો ફિલ્મ જોયા વિના જ સોશિયલ મિડિયા પર તલવાર કાઢીને બેઠા છે એ લોકોને એક જ સલાહ આપવી કે લોકોના પ્રતિભાવોને પોતાના માનીને ચાલવામાં કોઈ જ માલ નથી. અને રહી વાત સંસ્કૃતિ અને તેના સંરક્ષણ કે બીભત્સતાની તો આ ફિલ્મને વખોડવા ઉપરાંત પણ સમાજમાં બીજી કેટલીક વાતો છે જેમાં ધરખમ સુધારા આણવાના બાકી છે. બાકી ગુજરાતની ફિલ્મો સિનેમા ગૃહો સુધી પણ જઈ શકતી નથી ત્યાં જો કોઇ નવાં જ વિષયવસ્તુ વાળી કોઇ ગુજરાતી ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચે તો આ ઓચ્છવની જ વાત છે. ઇતિ અસ્તુ!

Wednesday, September 25, 2013

પોતાનાં ખેલમાં માહેર ‘ખેલંદો’



ખેલંદોનો એક સીન
ડિટેક્ટીવ નવલથાઓનાં લેખક નિલેશ ગણાત્રા. તેની પત્નીનું મુકેશ મોદી નામનાં પુરુષ સાથે અફેર ચાલતું હોય છે. નવલકથાકાર પતિને તેની પત્નીનાં આ અફેર વિશે જાણ થતાં જ તેનું મગજ કામે લાગી જાય છે કે આખરે તેની પત્નીને તેનામાં એવું તે શું ખૂટતુ લાગતું હતું કે તેણે આ રીતે પરપરુષ પાસે જવુ પડયું? એક દિવસ લેખક તેની પત્નીનાં પ્રેમીને ઘરે બોલાવે છે અને ભેદી કથાઓની ગૂંથણી કરવામાં માહેર તેનાં મગજને કામે લગાડીને પેલાં પુરષને જાતજાતનાં પ્રશ્ન પૂછવાનાં શરૂ કરી દે છે. આખાય વાર્તાલાપમાં લેખક એક જ વાતનો તાગ મેળવવાની મથામણ કરતો રહે છે કે આખરે તેની પત્નીને તેમાં શું ખૂટતું લાગ્યું? આટલું વાંચીને તમને એક વાતનો તાગ મળી જ ગયો હશે કે આ કોઇ સસ્પેન્સ થ્રિલર વાર્તા અથવા નાટકની વાત ચાલી રહી છે અને વાત ખરેખર એવી જ છે. આ આખી વાર્તા છેખેલંદોનામનાં નાટકની, જેનું સર્જન મધુ રાયે કર્યું હતું.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધાનું સમાપન થયું, જેમાંખેલંદોપ્રથમ ક્રમે રહ્યું હતું. મધુ રાયની વાર્તા હોય એટલે તે બેશક ઉત્તમ જ હોવાની પરંતુ આ નાટકમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કેખેલંદોની વાર્તાનાં લેખક જેટલાં અનુભવી હતાં એટલા જ બિનઅનુભવી હતાં તેનાં ડિરેક્ટર! બીજી તરફ નાટકનાં કલાકારો પણ મોટા ગજાના કહી શકાય એવાં. પણ વાત ફરીથીકેપ્ટન ઓફ ધ શિપપર જ આવીને ઉભી રહે છે કે આવા મોટા લેખકનું નાટક અને મોટા કલાકારો સામે નાટ્ય દિગ્દર્શનના અનુભવમાં તેનો પાનો ટૂંકો પડી શકે એવી આશંકા પણ જન્મે! અને દિગ્દર્શકની ઉંમર પણ કેટલી? તો કહે ૨૧ વર્ષ. અરે, જ્યારેખેલંદોનાં ડિરેક્શનની વાત ડિરેક્ટર આગળ રજૂ કરવામાં આવી હતી ત્યારે ખુદ ડિરેક્ટર પણ થોડો અચકાયેલો, કે આવડી મોટી જવાબદારી હું નિભાવી શકીશ ખરો? પણ ડિરેક્ટરે તેમની આ જવાબદારી બખૂબી નિભાવી. અને એટલું જ નહીં મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્ય સ્પર્ધામાં બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પણ પોતાને નામે કરી લીધો! ‘ખેલંદોનાં ડિરેક્ટર છે, તથાગત શુક્લા. તથાગતે પહેલી જ વખત ડિરેક્શન પર તેમનો હાથ અજમાવ્યો હતો. બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પોતાને નામ કરીને તથાગતે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જોકે તથાગતને ગળથૂથીમાં જ નાટકની પૃષ્ઠભૂમિ મળી છે એ વાત અલગ છે!

સુરત મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્યસ્પર્ધામાં કુલ ૧૫ નાટકો સ્ક્રૂટિનીમાં ભજવાયા હતાં. તેમાંથી ૮ નાટકો સ્પર્ધા માટે સિલેક્ટ થયાં હતાં. આ આઠેય નાટકો સાથે ઉત્તમ કક્ષાનાં કલાકારો અને આગલી હરોળનાં દિગ્દર્શકો સંકળાયેલા હતાં. તથાગત શુક્લા દિગ્દર્શિત આ નાટકને બેસ્ટ ડિરેક્ટર ઉપરાંત પણ બીજા પાંચ એવોર્ડ મળ્યાં છે, જેમાં સર્વશ્રેષ્ઠ ડ્રામા અને સર્વશ્રેષ્ઠ એકટર, શ્રેષ્ઠ એક્ટર ઉપરાંત બેસ્ટ સેટ ડિઝાઇનિંગ અને બેસ્ટ લાઇટિંગનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ગાર્ડિયને જ્યારે તથાગતનેખેલંદોની સફળતા માટેનાં અભિનંદન આપ્યા ત્યારે તેમણે અમને જણાવ્યું કે, ‘આ આખું કામ એક ટીમ વર્ક હતું આથી ડિરેક્ટર તરીકે બધીય સફળતાનો શ્રેય મારે માથે ચઢાવવા કરતા હુંખેલંદોની આખી ટીમને આનો શ્રેય આપવાનું વધુ પસંદ કરીશ. મને જ્યારેખેલંદોનાં દિગ્દર્શન માટે જણાવવામાં આવ્યું ત્યારે મેં થોડો ખચકાટ અનુભવ્યો હતો. પરંતુ પપ્પા(કપિલદેવ શુક્લ)ને મેં આ વિશે જ્ણાવ્યું ત્યારે તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. આમ, મારા કરતા પપ્પાનાં વધુ ઉત્સાહને લઇને મેં યા હોમ કરીને દિગ્દર્શનમાં ઝંપલાવ્યુ.’

કેડી એન્ટરટેઇનર્સનાં બેનર હેઠળ તૈયાર થયેલા ખેલંદોની આખી ટીમે સતત અઢી મહિના સુધી આકરી મહેનત કરી હતી. તથાગતનાં જ્ણાવ્યા અનુસાર એક ડિરેક્ટર તરીકે તેમણે આ નાટકની તૈયારીમાં જેટલા એફર્ટસ આપ્યાં છે એટલા જ એફર્ટસ નાટકનાં બે કલાકારો અને પ્રોડ્યુસર ખંજન થુંબર અને ડેનિશ પૂણીવાળાએ પણ આપ્યાં હતાં. અહીં એ વાત તરફ ધ્યાન દોરવુ જ રહ્યું કે આ નાટકમાં માત્ર બે જ કલાકારો (ડેનિસ પૂણીવાલા અને જયેશ મોરે) હોય છે, જેઓએ આખા નાટકની ધુરી પોતાનાં હાથમાં લઇને સતત ૧૨૦ મિનિટ સુધી દર્શકો આગળ રહસ્યનાં તાણાવાણા ગૂંથ્યા અને ઉકેલ્યા હતાં. તો આ નાટકમાં સંગીત આપ્યું હતું મેહુલ સુરતીએ જેમણે થ્રિલર નાટકને અનુલક્ષીને અત્યંત કુશળતાપૂર્વક સંગીત તૈયાર કર્યું હતું.

તથાગત શુક્લા
નાટકની સંપૂર્ણ તૈયારી થઇ ગયાં બાદ તથાગત એ વાતે તો શ્યોર જ હતો કે બોસ આપણી સ્ટોરી એકદમ મજબૂત છે અને અદાકારીમાં પણ આપણો જોટો જડે એમ ન હતો. આથી એક્ટિંગમાં ખેલંદોના કલાકારો બાજી મારી જશે એવી તેમને ખાતરી હતી. પરંતુ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળશે એ વિશે તેમને સપનેય ખ્યાલ ન હતો. આ વખતે તથાગતે ડિરેક્શન ભલે પહેલી વખત કર્યું હોય પરંતુ તેમનો મંચનો અનુભવ ઘણો જૂનો છે. માત્ર છ મહિનાની ઉંમરથી જ અભિનયની શરૂઆત કરનાર તથાગતે હમણાં સુધીમાં ૨૭ જેટલાં નાટકોમાં અભિનય કરીને લગભગ ૩૨૦ જેટલાં શો કર્યા છે. હાલમાં તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અનેનવરાંધૂપ પ્રોડકશનહેઠળ શોર્ટ ફિલ્મો પણ તૈયાર કરે છે.
સુરતનાં નાટકો વિશે તેઓ એમ માને છે કે સુરતનાં નાટકો હંમેશા શ્રેષ્ઠ જ હોય છે, જે મુંબઇના નાટકોની હારોહાર ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે. સુરતનાં નિર્માતાઓ પણ જો થોડો કોમર્શિયલ એપ્રોચ રાખે તો સુરતના નાટકોનું પણ મુંબઇ અને અમદાવાદનાં નાટકોનાં ખભા સાથે ખભો મેળવીને ઉભા રહી શકે છે. સુરતને નાટકો ગઢ ગણવામાં આવે છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન થોકબંધ નાટકો ભજવાતા હોય છે. આવા સમયે તથાગત જેવી યંગ ટેલેન્ટ જડી આવે એ ઘણી જ ખુશીની વાત છે.

સુરતનાં નાટકોનું સ્તર થોડું નીચુ ગયું છે?                                    
સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી મહાનગરપાલિકા છે જે આ રીતે નાટ્ય સ્પર્ધાઓ યોજે છે. આ તો ઠીક પાલિકા દર વર્ષે સ્પર્ધામાં ભાગ લઇ રહેલા તમામ ગ્રુપને ૧૪,૦૦૦ રૂપિયા અને રિહર્સલ્સ કરવા માટે મફત જ્ગ્યા પણ આપે છે. આ વર્ષની ૪૨મી નાટ્ય સ્પર્ધામાં અન્નપૂર્ણા શુક્લાએ પણ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ વર્ષની નાટ્ય સ્પર્ધા વિશે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘ઓવર ઓલ જોવા જઇએ તો આ વર્ષે મને સુરતનાં નાટકોમાં કંઇક ખૂંટતુ જણાયુ હતું. એક જમાનામાં સુરતનાં નાટકોમાં જે રસાકસી જોવા મળતી હતી તે રસાકસી હવે જોવા મળતી નથી.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘નાટકો ઓછા હોય તો ચાલે પણ આછા હોય એ તો ન જ ચલાવી લેવાય’. આથી તેમણે સુરતના નાટકોએ સ્તર ઉંચુ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ એમ જણાવ્યું હતું. તેમણે એક સૂચન પણ કર્યું કે મહાનગરપાલિકાએ સ્પર્ધાની જગ્યાએ હવે નાટ્ય મહોત્સવ જેવું રાખી વર્કશોપ્સ યોજવા જોઇએ જેથી સ્તરમાં કંઇક અંશે સુધારો લાવી શકાય. તેમનાં મતે સ્પર્ધાને કારણે નાટ્યકારોમાં તણાવની સ્થિતિ પેદા થાય છે જેથી તેની સીધી અસર નાટકનાં સ્તર પર થાય છે.