Friday, January 31, 2014

ફોટો FUN!!!

જો આવી ઓફિસ હોય તો જલસો પડી જાય!


માણસના વર્ક પ્લેસનું વાતાવરણ સારું હોય તો એને કામ કરવાની મજા આવતી હોય છે, અને કર્મચારીનું કામ સારું એટલે કંપનીને સીધો ફાયદો એ તો સાદું ગણિત છે. અહીં દર્શાવાયેલી તસવીરો કોઈ હોટેલ કે કાફેની નથી પણ આ બધી વિશ્વની કેટલીક ઓફિસ છે, જેનું ઈન્ટિરિયર એકદમ ક્રિયેટિવ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મોટા ભાગની કંપનીઓ ઈન્ટરનેટ અને વેબ ડિઝાઈનિંગ સંબંધિત કાર્ય કરતી કંપનીઓ છે. પણ આ બધામાં ગૂગલનો ક્યાંય જોટો જડે એમ નથી કારણકે દુનિયાભરમાં ફેલાયેલી તેમની તમામ ઓફિસોમાં તેમણે અલગ અલગ થીમ પર ક્રિયેટિવ ઈન્ટિરિયર તૈયાર કરાવ્યું છે. જેમકે સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં ગૂગલે તેમના કર્મચારીઓને બેસવા માટે બાથટબ અને બીચ પર હોય એવી રેસ્ટ ચેર રાખી છે, તો આ જ ઓફિસના એક બીજા ભાગમાં તેમણે શંકુ આકારની કેબિન રાખવામાં આવી છે. તો તેમની અમેરિકાના પિટ્સબર્ગની ગૂગલ ઓફિસમાં તેમણે મોટા મોટા ઝુલા રાખ્યા છે, જેના પર કર્મચારીઓ આરામથી બેસીને કામ કરી શકે છે. એટલે હવે ખબર પડી કે ગૂગલ પર દર ત્રીજા દિવસે ક્રિયેટિવ ડુડલ્સ ક્યાંથી આવે છે, આવી ક્રિયેટિવ ઓફિસ હોય તો સ્વાભાવિક છે કે તેના કર્મચારીઓ પણ ક્રિયેટિવ જ હોવાના! ગૂગલ ઉપરાંત પણ બીબીસી, પિક્સાર અને કો-મર્જ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓને સારું વાતાવરણ પૂરું પાડવા માટે આ રીતે ક્રિયેટિવ ઈન્ટિરિયર તૈયાર કરાવડાવ્યું છે. ■
બેંગ્કોંગની એક કંપનીનિ મિટિંગ રૂમ

ઝુરિચની ગુગલ ઓફિસ

સ્વિડનની એક ઓફિસ




ગુગલ પિટ્સબર્ગ







Thursday, January 9, 2014

નિર્ભયાઃ સ્ત્રીની પીડાનું તખ્તા પર મંચન

૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે દિલ્હીની એક બસમાં એક યુવતીને પીંખી નાંખવામાં આવે છે અને પછી નરાધમોની પિશાચી કરતૂતને કારણે પેલી યુવતીનું સિંગાપોર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. આ સાથે જ આખા દેશમાં ઠેર ઠેર દેખાવો અને પ્રદર્શનો થયાં અને દેશની સંસદે મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરી નાંખ્યા. આ આખી ઘટના દેશ અને દુનિયાના અનેક સંવેદનશીલ લોકોને હચમચાવી ગઈ, જેમાં અભિનેત્રી પૂર્ણા જગન્નાથન અને જોહાનિસબર્ગની નાટ્યકાર યેલ ફાર્બરનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના બન્યા પછી એક તરફ દેશના લાખો લોકો પોતાનો રોષ પ્રકટ કરવા હાથમાં મીણબત્તી અને લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતાં. તો આ બંને સ્ત્રીઓ મીણબત્તી સુધી જ સી‌િમત નહીં રહીને કંઈક નવું કરવાની યોજનાઓ બનાવી રહી હતી. આખરે તેમની આ યોજના ‘નિર્ભયા’ નામના નાટકનું રૂપ લે છે અને દિલ્હીની પી‌િડતા સહિતની અનેક સ્ત્રીઓની વ્યથાની મંચ પર હૃદયદ્રાવક રજૂઆત થાય છે.
‘નિર્ભયા’ નાટક દેશમાં ભજવાય એ પહેલા અનેક વખત એટલેકે લગભગ ૩૫થી વધુ વખત વિદેશની ધરતી પર ભજવાઈ ચૂક્યું છે. અને હવે થોડા જ દિવસોમાં તે દેશના વિવિધ શહેરોમાં પણ ભજવાશે. આ નાટકનો વિષય તો અત્યંત સંવેદનશીલ છે જ પરંતુ તેની સર્જન પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે. આ નાટકમાં માત્ર દિલ્હીની પીડિતા (નિર્ભયા)ની જ વાત નથી પરંતુ અન્ય પણ અનેક સ્ત્રીઓની વાત છે, જેમણે બાળપણથી લઈને યુવાની સુધીમાં અનેક વખત કોઈની હવસના શિકાર બનવું પડ્યું હોય. નાટકમાં રજૂ કરવામાં આવેલી તમામ કથાઓ સત્ય ઘટના પર આધા‌િરત છે, જેમાં કલ્પનાના કોઈ પણ રંગોને ભર્યા વિના કે તેને મઠાર્યા વિના યથાવત રજૂ કરવામાં આવી છે.

નાટકની સર્જન પ્રકિયા વિશે વાત કરીએ તો નાટ્યકાર યેલ ફાર્બરે તેમના લેપટોપ પર ૧૬ ડિસેમ્બરની ઘટના વિશે વાંચ્યુ ત્યારે હવસખોરોએ પી‌િડતા સાથે આચરેલા કુકર્મ વિશે વાંચીને દંગ રહી ગયા. આથી તેમણે ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સ્ત્રીઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું સ્ટેટ્સ અપડેટ કર્યું. આ સ્ટેટ્સને દુનિયાભરના લોકોએ લાઈક કર્યું તો ભારતમાં બેઠેલી પૂર્ણા જગન્નાથને પણ યેલનું સ્ટેટ્સ વાંચ્યું. પૂર્ણાને તમે આ પહેલા ‘દિલ્હી બેલી’ ફિલ્મમાં જોઈ ચૂક્યા છો. પૂર્ણાએ થોડાં સમય પહેલા યેલનું ‘અમાજુબા’ નામનું એક નાટક જોયું હતું, જેમાં દક્ષિણ આફ્રિકાના લોકો સાથે આચરવામાં આવતી રંગભેદની નીતિઓ વિશેની વાત કરવામાં આવી હતી. આથી પૂર્ણાને વિચાર આવ્યો કે ત્યારે પણ માણસ સાથે આચરવામાં આવેલી બર્બરતાની વાત હતી અને હમણાં પણ! તો યેલની સાથે મળીને ફરીથી આ વિષય પર એક નાટક તૈયાર કરવામાં આવે તો?

પૂર્ણાએ યેલને તરત જ આ વાત કરી, અને યેલને પણ તેનો આ વિચાર અત્યંત પસંદ આવ્યો. આમ, બંને સ્ત્રીઓએ રોજ ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું અને લાંબી લાંબી ચર્ચાઓ કર્યા બાદ તેમણે ‘નિર્ભયા’નો એક કાચો ઘાટ તૈયાર કર્યો. આખરે ફેસબુક પર નાટકની કાચી સ્ક્રિપ્ટ તૈયાર કર્યા બાદ ગયા ફેબ્રુઆરીમાં યેલ ભારત આવ્યાં અને અહીં તેમણે જાતજાતની સ્ત્રીને મળીને તેમનું રિસર્ચ શરૂ કર્યું. ગયા વર્ષે ભારત સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ ભારતમાં ૩૫% જેટલા બાળકો બાળપણમાં યૌન ઉત્પીડનનો શિકાર બનતા હોય છે. ઉપરાંત દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા શારી‌િરક અથવા જાતીય શોષણનો શિકાર બનતી હોય છે. એક સંવેદનશીલ સર્જક માટે આવા આંકડા હચમચાવી નાંખનારા હતા.
ત્યાર બાદ યેલ અને પૂર્ણાએ નક્કી કર્યું કે તેમણે માત્ર નિર્ભયાની વાર્તાને જ મંચ પર નથી ઉતારવી પણ નિર્ભયાની સાથે પોતાના સ્વજનોથી પણ પીડા પામેલી હોય એવી સ્ત્રીઓની વાતને લોકો સુધી લઈ જવી છે. આથી તેમણે મહિલાઓ માટે એક વર્કશોપ યોજીને તેમની પાસે તેમની કથનીઓ સાંભળી અને આ બધી વાર્તાઓને પણ નાટકની કથામાં વણી લીધી. નાટકમાં નિર્ભયાની ભૂમિકા જપજીત કૌર નામની અભિનેત્રી ભજવી રહી છે તો એક વાર્તામાં પૂર્ણા પણ અભિનય કરી રહી છે.
નાટકમાં નિર્ભયા ઉપરાંત એક કથા એવી સ્ત્રીની છે, જેને નાનપણમાં માત્ર ૯ વર્ષની ઉંમરે એરફોર્સમાં ઊંચી પદવી પર ઓફિસર એવા તેના નજીકના સગા દ્વારા શારી‌િરક હવસનો શિકાર બનાવવામાં આવી હતી. તો બીજી એક સ્ત્રીને નાનપણથી જ તેના બાપે વારંવાર ભોગવી હતી. આ ઉપરાંત પણ નાટકમાં નાની નાની ઘણી બધી કથાઓ છે. આ કથાઓ ભલે નાની હોય પણ તે આપણા દંભી અને માનસિક રીતે વિકૃત સમાજના ચિતારને બયાં કરે છે. આ નાટકના સૌથી વધુ શૉ યુકેમાં થયાં છે, જ્યાં તેને અત્યંત પસંદ કરવામાં આવ્યું છે. ત્યાંના વિવેચકોના મતે આ નાટકમાં ભલે ભારતની સ્ત્રીઓની કથાઓને દર્શાવાઈ છે પરંતુ આ કથા સમગ્ર વિશ્વની સ્ત્રીઓની છે.

પૂર્ણા જગન્નાથન તેનાં નાટક માટે જણાવે છે કે, ‘હું માત્ર બળાત્કારીઓ પર જ નહીં પરંતુ એ તમામ લોકોથી ખફા છું, જેઓ નિર્ભયાને બસમાંથી ફેંકી દેવાયા પછી પણ મૂકપણે તમાશો જોતા રહ્યા. આપણે ત્યાં સ્ત્રીઓને બાળપણથી જ ચૂપ રહેતા શિખવવામાં આવે છે અને કદાચ આ ચુપકીદીને કારણે જ આપણે આ બધી યાતનાઓ પણ ભોગવવી પડતી હોય છે. આથી આ નાટક દ્વારા અમે એ ચુપકીદીને તોડવાનો પ્રયત્ન કર્યો છે.’ નિર્ભયાનો સૌથી પહેલો શૉ જુલાઇ ૨૦૧૩માં એડિનબર્ગ ખાતે ફ્રિન્જ ફેસ્ટિવલ ખાતે યોજાયો હતો, જ્યાં તેને ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં. હમણાં સુધીમાં થયેલા શૉમાંથી તેઓ ૫૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ચૂક્યા છે. આ રકમનો ઉપયોગ તેઓ ૨૦૧૪ના વર્ષમાં ભારતમાં કરશે, જ્યાં તેઓ આ નાટક દેશભરના મોટા શહેરો ઉપરાંત દેશની મોટાભાગની કોલેજોમાં જગૃતીના ભાગરૂપે રજૂ કરશે.
‘નિર્ભયા’ના સર્જકોના મત મુજબ આ એક નાટક માત્ર નથી પરંતુ સામાજિક બદલાવ માટેનું પહેલું પગ‌િથયું છે. યેલ કહે છે કે, ‘અમે આ નાટકને દુનિયાભરમાં રજૂ કરવા માગીએ છીએ, જેથી દુનિયાના દરેક સમાજોને આ વિશે માહિતી મળે. લોકોને કદાચ લાગશે કે એક નાટક દ્વારા કઈ રીતે સામાજિક ક્રાંતિ થઈ શકે? પરંતુ સ્ત્રીઓના શારી‌િરક શોષણને મુદ્દે આપણે હવે સજાગ બનવું જ પડશે.’ યેલની વાત ખરેખર સાચી છે કારણકે આ દિશામાં ભલે હજારો કાયદાઓ બને પરંતુ જ્યાં સુધી સમાજ આ મુદ્દે જાગૃત નહીં બને ત્યાં સુધી કોઈ પણ બદલાવો આવી શકવાના નથી.

સ્ત્રીઓના શારીરિક શોષણ સામે કાયદો ઘડાઈ ગયો એટલે પતી ગયું એ જ ઘણું ભૂલભરેલુ છે કારણકે નિર્ભયા કેસ પછી પણ આપણી બળાત્કાર કે જાતીય શોષણની અનેક ઘટનાઓ બહાર આવી છે, જેમાં થોડાં દિવસો સુધી ટોળાઓ દેખાવ કરે અને ફરીથી બધું ત્યાંને ત્યાં રહી જાય છે. યેલના મતે આ પ્રશ્ન માત્ર સ્ત્રીઓનો જ નથી. આ પ્રશ્ન જેટલો સ્ત્રીઓ છે એટલો જ પુરુષોનો પણ છે. આથી પુરુષ જ્યારે આ મુદ્દે સજાગ બનશે ત્યારે જ આ વાતનો નિવેડો આવી શકશે. આખુ નાટક પૂરું થાય છે ત્યાં સુધીમાં કોઈ પણ વર્ગના દર્શકને વ્યાકુળ કરી મૂકે છે. નાટક ભજવાયા પછી એક તરફ મંચ પર નાટક પૂરું થાય છે અને બીજી તરફ દર્શકોની વિચારપ્રકિયા શરૂ થઈ જાય છે.


Friday, January 3, 2014

નવું વર્ષ, નવા ક્ષેત્રો અને નવી તકો

વર્ષ ૨૦૧૪ના શરૂઆતી મહિનાઓ દરમિયાન યોજાનારી કેન્દ્રની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી જેવા ચહેરાઓને કારણે સત્તાનું ધ્રુવીકરણ થશે કે નહીં એ જોવું અત્યંત ઉત્સાહજનક રહેશે. બીજી તરફ, આ નેતાઓ જે મતદારવર્ગમાં સૌથી લોકપ્રિય છે એવા યુવાનો માટે પણ ઉત્સુકતાઓનું અને અનેક તકોનું વર્ષ સાબિત થશે. આ કોઈ ભવિષ્યવેત્તાએ ભાખેલુ ભવિષ્ય નથી પણ સંશોધકો અને અભ્યાસુઓએ તેમના અભ્યાસ બાદ રજૂ કરેલા તારણો છે, જે મુજબ ૨૦૧૪-૨૦૧૫ ભારતના યુવાનો માટે અનેક તકો અને ઉજ્જવળ કારકિર્દી માટેના વર્ષ સાબિત થશે.

તાજેતરમાં જ રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં ૨૦૧૪માં એન્જિનિયરિંગ, આઈટી, બાયોટેક્નોલોજી, ફાર્મા ઈન્ડસ્ટ્રી, આંત્રપ્રિન્યોરશિપ, શિક્ષણ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, એફએમસીજી, રિટેઇલ સેક્ટર, એગ્રિબિઝનેસ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જેવાં ક્ષેત્રોમાં યુવાનો માટે અદભૂત તકો ઊભી થઈ રહી છે. એ તો ઠીક ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવાં કેટલાક નવા ક્ષેત્રો પણ ભારતમાં દસ્તક દઈ રહ્યા છે. આ કારણે ૨૦૧૫ સુધીમાં દુનિયાભરમાં નોકરીની અનેક તકો ઊભી થશે, માત્ર ભારતમાં જ ૨૦ લાખ જેટલી નોકરીઓ પ્રતિભાવાન યુવાનો માટે રાહ જોઈને બેઠી છે. અભ્યાસ મુજબ ક્લાઉડ કમ્પ્યૂટિંગ, અન્ય નવી  શોધો અને એન્ટ્રપ્રિન્યરશિપને કારણે મોટા ભાગની કંપનીઓ ક્લાઉડ કમ્પ્યૂટિંગના ક્ષેત્ર તરફ પોતાનો ઝુકાવ ધરાવી રહી છે આથી આ ક્ષેત્રોમાં તકો ઊભી થવા જઈ રહી છે.

સંશોધનો તો એમ પણ જણાવે છે કે કોમ્યુનિકેશન, મીડિયા, ઉત્પાદન અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦ લાખ જેટલી નોકરીની તકો છે. આ આંકડાઓમાં છોકરાઓ કરતા છોકરીઓ સારું પ્રદર્શન કરી જશે કારણકે, ૩૩ ટકા છોકરાઓની સામે છોકરીઓ માટેની તકો ૪૨ ટકા સુધીની છે. ઉપરના સર્વ સામાન્ય ક્ષેત્રો ઉપરાંત ઈન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટ, પેટ્રોલિયમ એન્જિનિઅરિંગ, દુભાષિયા, અનુવાદક, સોફ્ટવેર અને વેબસાઈટ ડેવલપર, માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ અને ઈવેન્ટ પ્લાનર જેવાં આપણે ત્યાં ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રોમાં પણ ૨૦૧૪માં ઊંચા પગારની સૌથી વધુ નોકરીની તકો ઊભી થઈ રહી છે. હાલમાં ભારતમાં સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી પણ ઝડપભેર વિકસી રહી છે. આ ઉપરાંત યુરોપ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્જાઈ રહેલી ઉથલપાથલોને પગલે સિમેન્સ અને જીઈ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પણ ભારતમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પંકાયેલી હેલ્થ એન્ડ સેફ્ટી રિક્રૂટમેન્ટ સ્પેશિયાલિસ્ટ કંપની ‘એલન એન્ડ યોર્ક’ પણ એમ જણાવી રહી છે કે આગામી વર્ષોમાં ભારતમાં  હેલ્થ એન્ડ સેફ્ટીના ક્ષેત્ર ઉપરાંત રિસ્ક એન્ડ સેફ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રી તેમજ કેમિકલ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં પણ યુવાનો માટે મોટી માત્રામાં નવી દિશાઓ ઉઘડશે. 

આ બાબતે હમણાં સુધીમાં નાસકોમ (NASSCOM), એસોચેમ (ASSOCHAM), ક્રિસિલ(CRISIL) અને માફોઈ (MAFOI) જેવી અગ્રણી રિસર્ચ કંપનીઓએ સંશોધનો કર્યાં છે. આ તમામ સંશોધનોમાં બધા એકસૂરે જણાવી રહ્યાં છે કે ભારતમાં હેલ્થકેર, એગ્રિબિઝનેસ, ટેલિકોમ ઉપરાંત અન્ય આઈટી ક્ષેત્રો, એનર્જી, ટુરિઝમ અને ટ્રાંસપોર્ટ, અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦૨૦ સુધીમાં અસાધરણ ઉછાળ આવશે. દરમિયાન જાણકારો તો એમ પણ જણાવી રહ્યાં છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી બાદ તરત જ બેંકિંગ અને બાંધકામ, વીમા જેવાં ક્ષેત્રોમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. આપણે હમણાં સુધી કેટલા ક્ષેત્રોમાં નવી તકોની સંભાવનાઓ છે એ વિશે જોયું પણ હવે એ જોઈશું કે ભારતમાં આ બધી સંભાવનાઓ ઊભી થવાના કારણો કયા છે. આપણે આગળ જોયું કે આપણે ત્યાં એનર્જી સેક્ટરમાં ઘણી તકો છે કારણકે ઓઈલ, ગેસ અને કોલસાના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પાંચમાં ક્રમે આવીએ છીએ. હાલમાં આ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરી શકે એવાં કુશળ કર્મચારીઓની અત્યંત જરૂરત ઊભી થઈ છે. ઉપરાંત આ ક્ષેત્રમાં જ્યારથી ખાનગી અને જાહેર સાહસ કરતી કંપની વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ ત્યારથી જાહેર સાહસ કંપનીઓને કામદારોની ભારે ખેંચ વર્તાઈ રહી છે, આથી તેમણે તેમની એચઆર પોલિસીઓમાં પણ ધરખમ ફેરફારો કરવા પડ્યા છે, જે તમામ નવી પોલિસીઓ કર્મચારીઓની તરફેણમાં છે.

જોકે ૨૦૧૪ના ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ક્ષેત્ર માટે થોડાં માઠા સમાચાર છે. કારણકે આ ક્ષેત્રના વૃદ્ધિદરમાં થોડો ઘટાડો જોવા મળવાની શક્યતા છે. પરંતુ આ છતાં પણ બંદરો, હાઈવે અને એરપોર્ટ જેવી કેટલીક સુવિધાઓમાં થઈ રહેલી પ્રગતિને કારણે આ ક્ષેત્રમાં પણ સાવ નિરાશ થઈ જવા જેવું નથી. તો એન્જિનિઅરિંગના ક્ષેત્રનું આઉટસોર્સિંગ માર્કેટ ૨૦૨૦ સુધીમાં ૧૫૦થી ૨૧૫ બિલિયન ડૉલર પહોંચી જશે. આમાં ભારતની વાત કરીએ તો આપણે પણ પ્રોજેક્ટ એન્જિનિયરિંગમાં ૧૪ થી ૨૫ ટકા સુધીનો હિસ્સો ધરાવીએ છીએ. આમ, ૨૦૨૦ સુધીમાં આપણે ત્યાં આઈટી અને તેની અન્ય શાખાઓ બાદ એન્જિનિયરિંગનું ક્ષેત્ર સૌથી મોટું ક્ષેત્ર સાબિત થશે.

ફાર્મા ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ૨૦૧૫ સુધીમાં માત્ર ભારતની ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૨૦ બિલિયન ડૉલર સુધી જશે. આમ, દેશમાં સામાન્ય દવાઓના માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. ફાર્મા સેક્ટરમાં આજે જાણકાર અને સારી આવડત ધરાવતા માણસોની અત્યંત અછત છે આથી આનો સીધો લાભ નવી પેઢીને જ મળશે. રિટેલ સેક્ટરમાં આપણે વૈશ્વિક સ્તર પર પાંચમાં ક્રમે આવીએ છીએ. ઉપરાંત ભારતના લોકોની જીવનશૈલીમાં આવી રહેલા ધરખમ બદલાવનો સીધો લાભ પણ રિટેલ સેક્ટરને જ થશે. હજુ ગયાં વર્ષે જ ઘણાં વિવાદો બાદ આપણે ત્યાં રિટેલ ક્ષેત્રમાં એફડીઆઈ આવ્યું. એફડીઆઈને કારણે પણ પહેલા અને બીજા વર્ગના શહેરોમાં આ ક્ષેત્રમાં મેનપાવરની અત્યંત જરૂર ઊભી થશે. જોકે એફડીઆઈનો રસ્તો હજુ જોઈએ એટલો સાફ નથી કારણકે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. પણ વહેલા મોડા આ ક્ષેત્રમાં ઘણી મોટી માત્રામાં રોજગારીની તકો ઊભી થશે એ વાતમાં કોઈ બે મત નથી.

વિશ્વમાં ટેલિકોમ સેક્ટરમાં ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે આવે છે. આ ક્ષેત્ર માટે એવું કહેવાઈ રહ્યું છે કે ૨૦૧૫ સુધીમાં વિશ્વના મોબાઈલ ધારકોમાં આપણો ૬%થી વધુ હિસ્સો હશે. દેશમાં 4G ઉપરાંતની કેટલીક સુવિધા પાઈપલાઈનમાં જ છે. આથી ટેલિકોમ કંપનીઓ વચ્ચેની હોડ ઉપરાંત નવી ટેકનોલોજીને કારણે આ ક્ષેત્રમાં પણ આઈટી અને કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ્સ માટે અનેક નવી તક છે. જાણકારોના મતે ૨૦૧૪ના વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં ઉતારચઢાવ ઉતાર ચાલુ રહેશે. આગામી વર્ષે અનેક વિદેશી પ્રાઈવેટ બેંકો ભારતમાં પોતાની શાખાઓ ખોલી શકે છે. પણ બેંકિંગ સાથે સંકળાયેલા કેટલાક ક્ષેત્રો જેવાં કે બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને વીમા સંબંધિત ક્ષેત્રોમાં હજુ આગામી વર્ષે જોઈએ એટલી વૃદ્ધિની અપેક્ષાઓ રાખવામાં આવી રહી નથી. આપણે ત્યાં હજુ હમણાં જ પ્રકાશમાં આવેલા ટ્રેનિંગ, કન્સલટન્સી, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબધિત ક્ષેત્રો પણ ઘણાં જ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. આથી આવા ક્ષેત્રોમાં પણ યુવાનો ઘણી સારી કમાણી કરીને તેમનું કેરિઅર બનાવી શકે છે.

આમ, આવનારું આ વર્ષ દેશના યુવાનો માટે ઘણાં સારા સમાચાર લઈને આવી રહ્યું છે. વિવિધ સર્વે મુજબ આ વર્ષે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોની રોજગારીઓમાં ૫૮% જેટલો વધારો થશે. આ વધારા પાછળ યુરોપની મંદીનો ઘણો મોટો ફાળો માનવામાં આવી રહ્યો છે, જેને કારણે યુરોપ સહિતની વિશ્વભરની કંપનીઓની નજર ભારત પર મંડરાઈ રહી છે. 

Saturday, December 14, 2013

આધુનિક જનીનશાસ્ત્રના પિતામહ ફેડરિક સેંગર

ઇંગ્લેન્ડનાં બાયોકેમિસ્ટ ફેડરિક સેંગરનું 19મી નવેમ્બર, 2013ના રોજ ૯૫ વર્ષની વયે અવસાન પામ્યા છે એ સમાચાર હમણાં આવ્યા.ફાધર ઓફ જિનોમિક્સતરીકે જાણીતા આ વિજ્ઞાનીના જીવરસાયણ શાસ્ત્રમાં ઊંડા સંશોધનને પગલે બે વખત નોબેલ પ્રાઈઝ એનાયત થયો હતો. મેડિકલમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર સેંગરને યુવાન વયે જ બાયોકેમેસ્ટ્રીમાં રસ જાગ્યો હતો. તેમનાં અભ્યાસ અને સંશોધનો દ્વારા તેમણે બાયોલોજીના અને ખાસ કરીને આધુનિક જિનેટિક એન્જિનિયરિંગના દ્વાર ખોલી આપ્યાં હતાં. આજે જિનોમિક્સ ક્ષેત્રે આપણે જે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી શક્યાં છીએ એની ક્રાંતિનો પાયો સાઠના દાયકામાં ફેડરિક સેંગરે નાંખ્યો હતો.

ફેડરિક સેંગરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ ઇંગ્લેન્ડના રેન્ડકોમ્બ, ગ્લુસેસ્ટરશાયરમાં થયો હતો. વ્યવસાયે તબીબ પિતાના પુત્ર સેંગરે પણ નાનપણથી વિજ્ઞાનમાં રુચિ કેળવી લીધી હતી. જોકે વિદ્યાર્થી કાળમાં તેઓ સામાન્ય કહી શકાય એવાં વિદ્યાર્થી હતાં. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે જણાવ્યું હતું કે, તેમને બાયોલોજી પ્રત્યે પ્રેમ હતો એ વાત સાચી પરંતુ એ વાત પણ એટલી જ સાચી હતી કે તેઓ પ્રતિભાશાળી વિદ્યાર્થી ન હતાં. આમ છતાં તેમણે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ પણ પિતાની જેમ જ તબીબ વિદ્યાનો અભ્યાસ કરશે અને અને તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડશે. જોકે સેંગર કોલેજમાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મન બદલાઈ ગયું અને તેમને બાયોકેમેસ્ટ્રીના વિષયોમાં વધુ રસ પડ્યો.

આ દિશામાં આગળ વધતા સેંગરે યોગ્ય સ્કોલરશિપ મેળવીને કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં નેચરલ સાયન્સનો અભ્યાસ કર્યો. જોકે કોલેજના શરૂઆતના વર્ષોમાં જ તેમણે તેમના માતા-પિતાને કેન્સરની બીમારીને કારણે ગુમાવી દીધા હતાં. વર્ષ 1940ના વર્ષમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં હતા. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે કોલેજના અભ્યાસને યાદ કરતા વ્યંગમાં કહ્યું હતું કે, “મારા અને મારા શિક્ષકોના આશ્ચર્ય વચ્ચે હું ઘણાં સારા માર્કે બી.એ (સ્નાતક) થયો હતો.” સારા માર્કસ મેળવ્યાં બાદ તેમના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થયો હતો. બાદમાં તેમણે બાયોકેમેસ્ટ્રીમાં પીએચ.ડી કરવાનું નક્કી કર્યું પણ એ વખતે વિશ્વયુદ્ધ શરૂ થવાના કારણે તેઓ કેમ્બ્રિજમાંએન્ટિ વૉર ગ્રુપ’ માં સામેલ થયાં અને તેમાં તેમણે યુદ્ધવિરોધી ચળવળકાર તરીકે કામ કર્યું. સ્નાતક થયાં બાદ વર્ષ 1940માં જ તેમણે કેમ્બ્રિજના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ઘાસમાંથી પ્રોટીન મેળવવાના જટિલ વિષય પર પીએચ.ડી શરૂ કર્યું હતું. પરંતુ તેમના ગાઈડે ડિપાર્ટમેન્ટ છોડી દેતાં તેમણે નવા ગાઈડના માર્ગદર્શન હેઠળ નવા વિષય પર સંશોધન કરવાની ફરજ પડી હતી. આ વખતે તેમણે પ્રાણીઓના શરીરમાં ચયાપચયની ક્રિયા માટે જવાબદાર એવા લાઈસીન એટલે કે એમિનો એસિડ પર સંશોધન કરીને વર્ષ 1943માં પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી.

પીએચ.ડીનું સંશોધન પૂરું કર્યાં બાદ સેંગરે કેમ્બ્રિજના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રીના સંશોધક ચાર્લ્સ ચીબનોલ અને તેમનાં સાથી વૈજ્ઞાનિકો સાથે કામ શરૂ કર્યું. ચીબનોલ માનવ જીવન માટે મહત્ત્વના એવાં પ્રોટીનના બંધારણ પર સંશોધન કરી રહ્યાં હતાં. સેંગરે ચીબનોલ સાથે કામ સંભાળ્યું ત્યારે તેઓ પાર્ટિશન ક્રોમેટોગ્રાફી (તત્ત્વોના મિશ્રણને લેબોરેટરીમાં જુદા પાડવાની પદ્ધતિ) દ્વારા પ્રોટીન વિશેના સંશોધનમાં ઘણાં ઊંડા ઉતરી ગયા હતાં. આ દરમિયાન ચીબનોલ સહિતના વિજ્ઞાનીઓએ પ્રોટીનમાં એમિનો એસિડની હાજરી રહેલી હોય છે એ વાત પર મ્હોર મારી દીધી હતી. પરંતુ હજુ સુધી કોઈ વિજ્ઞાની પ્રોટીનમાં એમિનો એસિડની તાત્ત્વિક હાજરી તેમજ તેના પ્રકાર અને પરમાણુમાં તેમની ગોઠવણી કયા પ્રકારની છે એ વિશે માહિતી મેળવી શક્યો ન હતો. આથી આ કામમાં ઊંડા ઉતરવાની જવાબદારી સેંગરને સોંપાઈ.

જોકે આવા સંશોધનો કરવા માટે આર્થિક સદ્ઘરતાની જરૂર રહે છે જે સેંગર પાસે નહોતી. આથી ચીબનોલ સાથે મળીને તેમણે કેમ્બ્રિજના મેડિકલ રિસર્ચ કાઉન્સિલ પાસે ગ્રાન્ટની માંગણી કરી પણ કાઉન્સિલે પ્રોટીનમાં એમિનો એસિડની સંખ્યા રેન્ડમ હોય છે એવું કહીને તેમની માંગણી ફગાવી દીધી. જોકે પાછળથી આ વાતનું મહત્ત્વ સમજતા કાઉન્સિલે તેમને સંશોધનો માટે થોડી રકમ ફાળવી આપી હતી. આમ, સેંગરે પ્રોટીનમાં એમિનો એસિડની હાજરી શોધવાનું કામ શરૂ કર્યું અને સતત દસ વર્ષ સુધી એમિનો એસિડમાં રહેલા પરમાણુઓનું સુવ્યવસ્થિત માળખું તૈયાર કરીને તેનેએ ચેઈનઅનેબી ચેઈનમાં વિભાજિત કર્યું.

આ માટે તેમણે ચીલાચાલુ પદ્ધતિનો ત્યાગ કરીને તેમની અલગ પદ્ધતિ વિકસાવી હતી. આ ઉપરાંત એક ખાસ માર્કિંગ એજન્ટ વડે પ્રોટીનમાં રહેલા એમિનો એસિડની લાંબી ચેઈનને નાના ટુકડામાં વર્ગીકૃત કરી. આજે તેમની આ ખાસ માર્કિંગ એજન્ટ પદ્ધતિનેસેંગર એજન્ટતરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમણે પ્રોટીનમાં રહેલા પરમાણુઓના બંધારણ અને તેમની રચના અંગેનું તબક્કાવાર વિશ્લેષણ કર્યું. આ લાંબા સંશોધન બાદ તેમણે પહેલી વખત દુનિયા સમક્ષ રજૂ કર્યું કે પ્રોટીનમાં એમિનો એસિડની અનોખી શૃંખલા રહેલી હોય છે, જેમાં ત્રિપરિમાણીય માળખું પણ હોય છે અને આ કારણે જ પ્રોટીન વિશિષ્ટ ગુણધર્મ પણ ધરાવે છે! વર્ષ 1953 સુધીમાં  સેંગરે માત્ર પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના ચોક્કસ ક્રમ જ નહીં પણ વિવિધ સસ્તન પ્રજાતિઓના શરીરમાંના ઈન્સ્યુલિનમાં રહેલા સૂક્ષ્મ તફાવતો અને તેમની વચ્ચેની ચોક્કસ ભેદરેખાઓ પણ રજૂ કરીને જીવરસાયણશાસ્ત્ર ક્ષેત્રે ઉથલપાથલ મચાવી દીધી હતી. તેમનાં આ સંશોધનને પગલે વર્ષ 1958માં તેમને રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું.  

વર્ષ 1960 સુધીમાં સેંગર કેમ્બ્રિજની મોલેક્યુલર બાયોલોજીના મેડિકલ રિસર્ચ કાઉન્સિલના ચીફ સાયન્ટિસ્ટ બની ગયા હતાં. હવે તેમને ન્યુક્લિક એસિડ અને ડીએનએ તેમજ આરએનએમાં રસ પડવા માંડયો હતો. આથી તેઓ આ ક્ષેત્રોમાં સંશોધન માટે મંડી પડ્યા હતાં. વીસ વર્ષના ગાળામાં તેમણે પહેલી વખત ડીએનએની ક્રમાંક પદ્ધતિ વિકસાવી હતી. અહીં પણ તેમણે એમિનો એસિડની શૃંખલા વિભાજિત કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો એ જ પદ્ધતિને કામે લગાડી હતી. જોકે આ સંશોધનમાં સેંગરની સાથે અન્ય બે વિજ્ઞાનીઓ પણ સંકળાયા હતાં, જેમની સાથે મળીને તેમણે વર્ષ 1977માં આજના આધુનિક જિનોમ વિશ્લેષણ માટે અતિ મહત્ત્વની કડી સાબિત થઈ રહેલીડાઈડિઓક્સીપદ્ધતિ આપી. આ પદ્ધતિ હવેસેંગર મેથડતરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ અને આરએનએના વિભાજન તેમજ તેની ઓળખ માટે સેંગરે 25 વર્ષ સુધી કરેલા મહત્ત્વપૂર્ણ સંશોધનો માટે વર્ષ 1980માં તેમને ફરીથી રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. જોકે આ વખતે તેમને વોલ્ટર ગિલ્બર્ટ અને પોલ બર્ગ સાથે સયુંક્ત રીતે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.


કેમ્બ્રિજમાં તેમને માથે કેટલીક વહીવટી જવાબદારીઓ પણ આવી હતી હતી, પરંતુ વહીવટો કરવા કરતા તેમને સંશોધનોમાં વધુ રસ હતો. આથી જવાબદારીઓ સંભાળવા કરતા તેઓ આજીવન સંશોધનોમાં જ મગ્ન રહ્યાં. સેંગરે વર્ષ 1940માં માર્ગારેટ જોન હોવ સાથે લગ્ન કર્યાં હતાં. નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે તેમણે તેમની પત્નીનો વિશેષરૂપે આભાર માનતા કહ્યું હતું કે, “...સાયન્સ બેકગ્રાઉન્ડ નહીં ધરાવતી હોવા છતાં મારી પત્નીએ મારા સંશોધનોમાં મને ઘણી મદદ કરી છે.” વર્ષ 1985ના વર્ષમાં તેમણે નિવૃતિ લીધી એ પછી તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાર્ડનિંગ શીખવામાં અને કરવામાં કેન્દ્રિત કર્યું હતું. ફ્રેડરિક સેંગર બ્રિટનની એકમાત્ર અને વિશ્વની ચોથી એવી વ્યક્તિ હતી જેમને બે વખત નોબેલ પ્રાઈઝ એનાયત થયું હોય. સેંગરના જીવન પરથી ખ્યાલ આવે છે કે, એમને કોલેજ કાળથી વર્ષ 1985માં નિવૃત થયાં ત્યાં સુધી અનેક વખત જુદાં-જુદાં વિષયો પર સંશોધન કરવાનું આવ્યું હતું. પરંતુ બીજી બાબતોમાં સપડાયા વિના તેમણે દરેક વખતે તે વિષયોમાં પોતાને અને તેમના કામને શ્રેષ્ઠતમ પુરવાર કર્યાં હતાં




બે વખત નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાંરા નોબેલ લોકો..

વિશ્વમાં બે વખત નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર માત્ર ચાર વ્યક્તિ છે. મેરી ક્યુરીને વર્ષ 1903માં ભૌતિકશાસ્ત્રમાં રેડિયેશન પર નોંધપાત્ર સંશોધન કરવા બદલ નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું. વર્ષ 1911માં રેડિયમની શોધ માટે ફરીથી તેમને રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું. તો જોન બાર્ડિન નામના ભૌતિકશાસ્ત્રીને પણ ભૌતિકશાસ્ત્રમાં વિવિધ સંશોધનો કરવા બદલ અનુક્રમે વર્ષ 1956 અને 1972માં નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. અમેરિકાના જીવરસાયણશાસ્ત્રી લિનસ પોલિંગને વર્ષ 1954માં રસાયણશાસ્ત્રનો અને 1986માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું. તો આપણે આગળ જોઈ ગયાં એમ ફેડરિક સેંગરને પણ જીવરસાયણ શાસ્ત્રમાં તેમનાં અમૂલ્ય યોગદાનને પગલે વર્ષ 1958 અને 1980માં રસાયણશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. 

Saturday, October 19, 2013

ભાઇ, અમારું ટો ઘારી કલ્ચર


ભાઇ ઓણ ઘારી ખાવાના કેની?’

ખાવાના જ કેની. ઘારી વગર રેવાય કે?’

પણ ઘારીના ભાવ બો વધી ગીયા એમ કેય?’

ભાવનું હું? એ તો વયધા કરે. ભાવ વધે એટલે આપણે ખાવાનું થોડું માંડી વાળવાનું?’

હમણાં સુરતીલાલાઓ દેશ-દુનિયાના બાકી બધા મહત્ત્વનાં મુદ્દાઓ બાજુએ રાખીને માત્ર ઘારી અંગેની ગહન ચર્ચાઓમાં જ પડ્યા હશે એ વાતમાં કોઇ બે મત નથી. કારણકે, ચંદની પડવો નજીક છે અને સુરત માટે ચંદની પડવો એટલે ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ! આમ પણ આ શહેરનું કલ્ચર જ કંઇક અલગ છે, જ્યાં મોટા ભાગના તહેવારોમાં અને સામાન્ય દિવસે ખાણી-પીણીની ચીજોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. બાકી, ‘સુરતનું જમણ અને કાશીનું મરણઅમસ્તુ જ થોડું કહેવાય છે?

આ શહેરે આમ તો ગુજરાતને અને દેશને ઘણી બધી વાનગીઓ આપી છે. જેમાં લોચો, ઇદડા અને રસાવાળા ખમણ કે આલુપુરી જેવી વાનગીઓનો સમાવેશ કરી શકાય. પણ એ બધી વાનગીઓમાં ઘારી દેશ-વિદેશમાં અત્યંત વખણાઇ છે. ચંદની પડવાના પંદર વીસ દિવસ પહેલા જ સુરતી લાલાઓ ઘારી ખરીદવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દે છે અને દેશદેશાવરમાં રહેતા પોતાનાં ભાઇભાડુંઓને થોકબંધ ઘારી મોકલવાની તજવીજ શરૂ કરી દે છે. ઘારી સુરત શહેરની સંસ્કૃતિમાં વણાઇ ગયેલી વાનગી છે. શરદપૂનમ તો આખા ગુજરાતમાં ઉજવાય છે પરંતુ ઘારી ખાવા માટેનો આ વિશેષ ઉત્સવ માત્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં જ ઉજવવામાં આવે છે. ચંદની પડવાને દિવસે સુરતનાં લોકો ઘારી સાથે ભૂંસું લઇને શહેરનાં રસ્તાઓ પર ઉતરી પડે છે અને ગૌરવ પથનાં ફૂટપાથ પર અથવા પોતાનાં મકાનને ઘાબે જઇને લહેરીલાલાઓ લહેરથી ઘારી અને ભૂંસાની જિયાફત ઉડાવે છે.

ઘારીનો ઇતિહાસ બહુ જૂનો નથી. લગભગ ૧૫૦થી ૨૦૦ વર્ષ જૂનો જ ગણોને. ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. આજે ચંદની પડવાના તહેવાર નિમિત્તે લગભગ ૨૦ હજાર કિલોથી વધુ ઘારીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

દેવશંકર શુક્લાએ ૧૮૩૮માં સુરતનાં લાલગેટ પાસેદેવશંકર ઘારીવાળાનાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી. હતી ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. ૧૮૫૭નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો. આથી ત્યારથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.

જોકે ચંદની પડવાના તહેવાર વિશે એક લોકવાયકા એવી પણ છે કે સુરતનાં ખલાસીઓનું .ખાવા માટે જાય છે. જોકે આ વાયકામાં તથ્ય કેટલુ છે એ વિશે કંઇ નક્કી નથી. પરંતુ એક વાત સાચી કે શરૂઆતનાં વર્ષોમાં સુરતનાં લોકો મરણ વખતે જ ઘારી ખાતા. પણ સમય જતાં આ પ્રથામાં મસમોટું ગાબડું પડ્યું અને સુરતી લાલાઓએ દુખદ પ્રસંગોએ ખવાતી ઘારીને ચંદી પડવાના ઉત્સવ સાથે સાંકળીને ઘારીપર્વ જ ઊજવવાનું શરૂ કરી દીધુ!

શરૂઆતી વર્ષોમાં રવા અને ઘીમાંથી સાદી ઘારી બનતી હતી. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ ઘારીની બનાવટમાં  પણ જાતજાતનાં પ્રયોગો થતા રહ્યાં, જેને પગલે આજે બજારમાં ત્રણ ચાર પ્રકારની ઘારીઓ ઉપલ્બધ છે. હમણાં મુખ્યત્વે બજારમાં ત્રણ પ્રકારની ઘારીઓ મળે છે. જેમાં એક સાદી એલચી ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર બદામ પિસ્તા ઘારી મુખ્ય છે. આ ઉપરાંત બાળકોને ભાવે એવી ચોકલેટ ઘારી અને મેંગો મેજીક જેવી ઘારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. મજાની વાત એ છે કે ડાયાબિટીસનો ભોગ બનેલા અને મીઠી વાનગીઓના શોખીન સુરતી લાલાઓના ચંદની પડવાના રંગમાં ભંગ પડે એ માટે છેલ્લાં કેટલાક વર્ષોથી સુગર ફ્રી ઘારી પણ મળે છે. એટલે ડાયાબિટીસ હોય તો શું થઇ ગયું? અમે તો ઘારી ખાવાના એટલે ખાવાના જ.

જોકે કોઇ વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી જ જતી મોંઘવારીની અસર ઘારી પર પણ થઇ છે. ચાલુ વર્ષે બજારમાં ૪૬૦થી ૪૮૦ રૂપિયા કિલો સુધીની ઘારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘારીનાં ભાવમાં કીલો દીઠ ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પણ આ ભાવ વધારો કંઇ નવો નથી. ભાવો તો દર વર્ષે જ વધતા જ હોય છે. પરંતુ એનાથી સુરતનાં લોકોને કંઇ બહુ ફરક પડતો નથી. અહીં જથ્થાબધ ઘારી ખરીદાય છે અને ખવાય છેસુરત સહિત ગુજારાતભરમાં પોતાની ઘારી માટે પ્રખ્યાત એવા શાહ જમનાદાસ ઘારીવાલાનાં કુંજન ઘારીવાલાએ ગુજરાત ગાર્ડિયનને જણાવ્યું હતું કે, ‘સાર્વત્રિક વધતી મોંઘવારીને પગલે સ્વભાવિક છે કે ઘારી અને મીઠાઇઓનાં ભાવમાં પણ વધારો થાય, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પણ થાય. પરંતુ કોઇ પણ વસ્તુ પર સીધો કાપ મૂકવો સુરતીઓનો સ્વભાવ નથી. એટલે કિલો ઘારી ખરીદતો ગ્રાહક પાંચસો ગ્રામ લેશે, પણ સમૂળગી જ ઘારી નહીં ખાય એવું તો નહીં જ બને.’

ગયા વર્ષનાં આંકડા મુજબ ગયે વર્ષે સુરતનાં લોકો ચંદની પડવાનાં તહેવાર નિમિત્તે કુલ આઠ કરોડ રૂપિયાની એક લાખ વીસ હજાર કિલો ઘારી અને ભૂંસુ પેટમાં પધરાવી ગયા હતાં. ચંદની પડવાનાં ઉત્સવને સુરતી લોકોએ તેમની અનોખી ઉજવણી વડે એટલો તો પ્રખ્યાત કરી દીધો છે કે હવે કારતક વદ એકમ એટલેકે ચંદની પડવાના દિવસે ગુજરાતી કેલેન્ડરોમાંસુરત-ડુમસ ઉત્સવપણ લખાયેલું હોય છે. ખાણી પીણી માટેનો આ એકમાત્ર એવો ઉત્સવ હશે કે આ દિવસે સુરત પોલીસે સુરતનાં રસ્તાઓ પર અને ખાસ કરીને ગૌરવપથ તરફનાં વિસ્તારોમાં વિશેષપણે બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે.

સુરતનાં લોકોને ઘારીનો એવો તો ક્રેઝ છે કે અહીંના લોકો શરદ પૂનમનાં દિવસથી ઘારી ખાવાનું શરૂ કરી દે છે અને ચંદની પડવાના બીજા દિવસ સુધી તેઓ ઘારી ખાય છે. હવે આ વર્ષે કેટલી ઘારી ખવાશે એ જોવું રહ્યું. પરંતુ આ શનિવારે ચંદની પડવો આવી રહ્યો છે અને બજારોમાં મીઠાઇવાળાઓને ત્યાં ઘારીનાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયાં છે. અને વિદેશમાં વસતા સુરતી લાલાઓ અને ગુજરાતીઓને માટે જથ્થાબંધ ઘારી પહોંચી પણ ગઇ છે. આ વર્ષે ઘારી વધુ માત્રામાં ખવાશે કે ઓછી એ તો પછીનો મુદ્દો છે પણ આ વખતે ઘારી બહું જ ટેસથી અને જલસાભેર ખવાશે એ વાત પાકી. કારણકે આ વર્ષે ચંદની પડવો વિકએન્ડમાં આવી રહ્યો છે આથી સુરતી લોકો વિકએન્ડનો પૂરેપૂરો લાભ ઊઠાવશે.


તમે સુરતમાં રહેતા હો અને મૂળ સુરતના નહીં હો તો તમે પણ અસલ સુરતીઓની જેમ કંદોઇની દુકાને જઇને ઘારી ખરીદજો અને અદ્લ સુરતી સ્ટાઇલમાં ચંદ્રની શીતળ ચાંદનીમાં શહેરનાં ફૂટપાથો પર બેસીને ભૂંસુ અને કોલ્ડ્રિંક્સની મિજલસ માણજો. આખરે કોઇ પણ શહેરને જાણવું હોય અને માણવું હોય તો તે શહેરનાં કલ્ચરથી સુપેરે પરિચિત થવું પડે. અને ભાઇ, અમારું કલ્ચર ટો ખાણીપીણીનું છે. લોચા ખમણનું અને ઘારીનું છે! અમારી વાત તો ખાવાથી જ શરૂ થાય ને પતે હો ખાવાથી જ!

Tuesday, October 8, 2013

પશ્ચિમનાં સૂરોનાં ખરા ઉસ્તાદઃ ઝુબીન મહેતા

હમણાં થોડાં દિવસો અગાઉ કાશ્મીરમાં સંગીતનાં એક કાર્યક્રમને લઇ ભારે વિવાદ મચ્યો હતો. કાશ્મીરનાં વિરોધ પક્ષો અને અલગતાવાદીઓએ ગઇ સાતમી સપ્ટેમ્બરે યોજાનારાં એક કાર્યક્રમને અટકાવવા માટે ભારે મથામણ કરી હતી. કાશ્મીર ખીણમાં યોજાઇ ગયેલો તે કાર્યક્રમ હતો વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંડકટર ઝુબીન મહેતાનોઅહેસાસ--કાશ્મીર’! જેને યોજવા પાછળનો મુખ્ય હેતુ જ એ હતો કે છેલ્લાં કેટલાક વર્ષોથી ખીણમાં ચાલી રહેલા તણાવને સંગીતનાં માધ્યમથી ઓછો કરી શકાય. પરંતુ જેની પ્રકૃતિમાં જ શાંતિ પામવુ નથી લખ્યું એવા અલગતાવાદીઓએ અને અન્ય વિઘ્નસંતોષીઓએ તેમાં વિરોધનાં સૂર રેલાવવા છતાં તેમને સફળતા હાંસલ થઇ ન હતી. શ્રીનગરમાં દાલ સરોવર નજીકનાં શાલીમાર ગાર્ડનમાં યોજાયેલા ઝુબીન મહેતાના આ કાર્યક્રમને અસાધારણ સફળતા મળી હતી, સેંકડો હિંદુ-મુસ્લિમોએ સાથે બેસીને સંગીતનાં આ જલસાની મિજલસ માણી હતી.


અહેસાસ--કાશ્મીરકાર્યક્રમને લઇને કાશ્મીરમાં થયેલાં વિવાદની સાથે ઝુબીન મહેતાનું નામ ફરી માધ્યમોમાં ઝળક્યું છે. જોકે આખાય વિવાદમાં ઝુબીન મહેતાની ભૂમિકા અત્યંત કાબિલેદાદ રહી હતી. કારણકે સામાન્ય રીતે જ્યારે આવા કોઇ વિવાદો વકરે છે ત્યારે કલાકારો પણ અળવીતરા વિધાનો કરીને વિવાદની આગમાં  ધુમાળામાં ફૂંક મારવાનું કામ કરવામાંથી બાકાત નથી રહી શકતાં.  પરંતુ ઝુબીન મહેતા ખુદ આખા વિવાદથી થોડાં છેટા રહ્યાં અને કશુંય બોલ્યા વિના કાશ્મીરના લોકોને એક ઉત્તમ કક્ષાનો સંગીતનો જલસો કરાવી ગયા. તો ઠીક, જતાં જતાં એમ પણ કહેતા ગયા કે કાશ્મીર તેમને ફરી બોલાવશે તો તેઓ ફરીથી કાશ્મીર આવવાનું પસંદ કરશે. વેસ્ટર્ન મ્યુઝિક પસંદ કરતી અને તેનાં તાલે ઠુમકા લગાવતી આજની યુવા પેઢી કદાચ ઝુબીન મહેતાનાં નામથી અપરિચિત પણ હોઇ શકે છે પરંતુ ઝુબીન મહેતા આંતરરાષ્ટ્રીય સંગીતમાં ઘણું મોટુ અને સન્માનનીય નામ છે.

૧૯૩૬ની ૨૯મી એપ્રિલે મુંબઇનાં પારસી પરિવારમાં જન્મેલા ઝુબીન મહેતાને સંગીત વારસામાં જ મળ્યું હતું. બોમ્બે સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં શોધક અને અંગ્રેજોનાં જમાનાનાં વાયોલિન વાદક એવા સંગીતકાર પિતા મેહલી મહેતા પાસેથી તેમણે પ્રારંભિક સંગીતની તાલીમ લીધી હતી. બાદમાં પ્રી-મેડિકલની તૈયારીઓ કરતા કરતા ૧૯૫૪માં એક દિવસ ઝુબીન મહેતાએ માત્ર સંગીતમાં જ કારકિર્દી બનાવવાનાં આશયથી ઓસ્ટ્રિયાના વિયેનાની વાટ પકડી અને ત્યાં વિધિવત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. વિયેનાની પ્રખ્યાત એવી એકેડેમી ઓફ મ્યુઝિકમાંથી આજે પણ જેને સમજવાનું તો ઠીક પણ તેને માણવા માટે પણ થોડું માથુ ખંજવાળવુ પડે એવાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનો તેમણે અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં તેમાં પારંગત પણ થયાં. ૧૯૬૧નું વર્ષ આવે ત્યાં સુધીમાં તો ૨૫ વર્ષનાં યુવાન ઝુબીને મ્યુઝિક કંડક્ટર તરીકે કાઠું કાઢ્યું હતું. તેઓ ઓસ્ટ્રિયા, જર્મની અને ઇઝરાયેલ જેવાં દેશોનાં વિવિધ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં કંડક્ટર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યાં હતાં.

હમણાં સુધીમાં ઝુબીન વિશ્વનાં ખ્યાતનામ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક ડિરેક્ટરની ભૂમિકા ભજવી ચૂકયાં છે. તેઓ સંગીતનાં જે ક્ષેત્રમાં એટલેકે વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે એમાં મ્યુઝિક કંડક્ટર અને ડિરેકટર પર જ બધો મદાર રાખવામાં આવતો હોય છે, જેમાં એક વ્યક્તિએ બહુ મોટા એવા વૃંદને એકસાથે સાચવવાનું હોય છે. જો એક વ્યક્તિથી પણ આમતેમ થઇ જાય તો આખા કાર્યક્રમમાં ઉથલપાથલ મચી શકે છે. આમ, આ માટે સંગીતનાં જ્ઞાનની સાથે કુશળ વહીવટનું જ્ઞાન હોવું પણ એકદમ જરૂરી છે. આ બાબતે ઝુબીન એકદમ સવાયા સાબિત થયાં છે, જ્યાં ડઝનબંધ ઓર્કેસ્ટ્રામાં કંડકટરની ભૂમિકા ભજવીને જાતજાતનાં સંગીતકારો સાથે તેમણે ખૂબ જ કુશળતાથી કામ પાર પાડીને અદભુત સંગીત પીરસ્યું છે.

૧૯૬૧થી ૧૯૬૯ સુધી તેઓ કેનેડાનાં પ્રખ્યાત મોન્ટ્રીયલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર રહ્યાં હતાં. આ દરમિયાન તેમનાં જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે વિયેનામાં તેમની પાસે કોઇ કામ ન હતું. પરંતુ તેમનાં કપરા દિવસો દરમિયાન ઇઝરાયેલથી તેમનાં પર એક ટેલિગ્રામ આવે છે કે જો તેમનાંથી ઇઝરાયેલ અવાતુ હોય તો આવી જવું. આથી તેઓ તેમનાં પરિવાર સાથે તાબડતોબ ઇઝરાયેલ પહોંચે છે અને ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર બને છે.

ઇઝરાયેલમાં વર્ષો સુધી સંગીતમાં તેમણે આપેલા વિશિષ્ટ પ્રદાનને કારણે ૧૯૯૧માં ઇઝરાયેલની સરકારે તેમને  ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શનનાં એવોર્ડથી નવાજ્યાં હતાં. આ એવોર્ડ એનાયત કરતી વખતે ઇઝરાયેલનાં તત્કાલીન રાષ્ટ્રપતિ શિમોન પેરેસે તેમના માટે કહ્યું હતું કે, ‘તેઓ ભલે એક સંગીતકાર તરીકે અહીં આવ્યાં હોય પરંતુ આજ સુધી ઇઝરાયેલનાં સંગીતમાં તેમનાં જેટલું પ્રદાન કોઇએ નથી આપ્યું. તેમનાં આ પ્રદાનને કારણે ઇઝરાયેલ હંમેશા તેમનું આભારી રહેશે.’
હમણાં સુધીમાં ઝુબીન મહેતાએ વિશ્વભરમાં કુલ ૩૦૦૦ જેટલાં શૉ કર્યાં છે. ૧૯૭૮થી તેમણેન્યુયોર્ક ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સુકાનપદ સંભાળ્યુ હતું. જે તેમણે છેક ૧૯૯૧ સુધી એટલેકે સતત તેર વર્ષ સુધી સુપેરે સંભાળ્યું હતું. આ સાથે જ વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રાના ઇતિહાસમાં તેમણે એક નવો વિક્રમ સર્જયો હતો, કારણ કે એ પહેલાં(પછી પણ!) સતત તેર વર્ષ સુધી કોઇ ડિરેક્ટર પદ પર રહી શક્યુ ન હતું. વૈશ્વિક સ્તર પર આટલી બધી નામના મળવા છતાં ઝુબીન મહેતા એકદમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તેમની સફળતા માટે સાવ નિખાલસતાથી કહે છે કે તેમને અજાણતામાં જ આટલી બધી સફળતા મળી હતી. બાકી તેમણે સફળતા તરફ ક્યારેય તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. તેમનાં મતે તો તેમણે તેમનું બધું ધ્યાન તેમનાં સંગીત પર જ કેન્દ્રિત કર્યું હતું.

સંગીતમાં તેમનાં પ્રદાનને પગલે ભારત સરકારે તેમને ૧૯૬૬માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં તો ૨૦૦૧માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તો હમણાં જ તેઓ કાશ્મીરનાં કાર્યક્રમ માટે આવેલા ત્યારે આપણાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને ટાગોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલમાં ઝુબીન મહેતા ૭૭ વર્ષનાં છે અને છતાં તેઓ વિશ્વભરમાં વિવિધ જ્ગ્યાએ સંગીતનાં શૉ કરે છે. આટલી ઉંમરે પણ તેઓ એકદમ ફિટ અને તરોતાજા છે. આ કદાચ તેમનાં સંગીતની જ કમાલ હશે કે શારીરિક રીતે વૃદ્ધ લાગતી આ વ્યક્તિ હજુય એક જુવાનીયા જેવી તાજગી અને કાર્યક્ષમતા ધરાવે છે.


ઝુબીનનું ઇન્ડિયા કનેકશન

ઝુબીન મહેતા દર બે વર્ષે અચૂકપણે ભારતની મુલાકાત લે છે. તેઓ મુંબઇમાં તેમનાં સંગીતકાર પિતાની યાદમાં મેહલી મહેતા મ્યુઝિક ફાઉન્ડેશનનામની એક સંગીત એકેડમી પણ ચલાવે છે. આ મ્યુઝિક એકેડમી દ્વારા તેઓ તેમનાં પિતાનું ઋણ અદા કરે છે. તેમનાં પિતાની હંમેશાથી એક ઇચ્છા હતી કે ભારતનાં વિદ્યાર્થીઓને પણ વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિક શિખવાની તક મળે. જેથી આ મ્યુઝિક એકેડમીમાં બાળકોને પશ્ચિમી પારંપરિક સંગીતની તાલીમ આપવામાં આવે છે. હાલમાં જ કાશ્મીરનાં કાર્યક્રમ માટે તેઓ જ્યારે ભારત આવ્યાં હતાં ત્યારે તેઓ મુંબઇમાં પોતાની સ્કૂલ સેંટ મેરીની મુલાકાતે પણ ગયાં હતાં. આ દરમિયાન તેમણે સ્કૂલનાં બાળકો સાથે તેમનાં કેટલાંક બાળપણનાં સંભારણા રજૂ કર્યાં હતાં. આ દરમિયાન તેમણે હિન્દી ન શીખી શક્યાની દિલગીરી વ્યકત કરી હતી. ઉપરાંત બાળકો આગળ તેમણે ભારત અને ખાસ કરીને મુંબઇ શહેરનાં પેટ ભરીને વખાણ કર્યા હતાં. સ્કૂલનાં બાળકો સાથે ભાંગ્યા તૂટયા હિન્દીમાં વાત કરતી વખતે તેઓ અત્યંત ભાવુક પણ થઇ ગયાં હતાં.

ઉત્કૃષ્ટ નાટકોની ભરમાર સન્ડે ટુ સન્ડે

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સનું એક દ્રશ્ય
અમદાવાદ સહિત ગુજરાતભરનાં નાટ્યરસિકોને દેશનાં શ્રેષ્ઠત્તમ નાટકો માણવાનો લાભ મળી રહે એ માટે અમદાવાદ સ્થિત દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સેગયાં વર્ષથી એક અદભુત કાર્યક્રમ હાથ ધર્યો છે. આ કાર્યક્ર્મ હેઠળ સતત એક અઠવાડિયા સુધી દેશભરનાં દિગ્ગજ નાટ્યકારો અને નાટ્યકલાકારો અમદાવાદ ખાતે ભેગા થાય છે અને નાટ્યરસિકોનાં એક મોટા વર્ગને દેશનાં અદભુત નાટકોની મિજલસ કરાવે  છે. દર્પણ એકેડમી દ્વારા ઉજવવામાં આવતો આ કાર્યક્રમ છેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલ’, જે હેઠળ એક રવિવારથી બીજા રવિવાર સુધીનાં દિવસોમાં આઠ નાટકોની ભજવણી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે હજુ હમણાં જસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલભજવાઇ ગયો. જેમાં ગુજરાત સહિત મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદ જેવાં શહેરોનાં રંગકર્મીઓએ વારાફરતી રોજ પોતાનાં એક એક નાટક ભજવ્યા અને વરસતા વરસાદની વચ્ચે દર્શકોને નાટકોનાં રસમાં તરબોળ કરીને એકથી એક અદભુત નાટકોની ભેટ આપી. દર્પણ એકેડમી અનેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલસાથે સંકડાયેલા અભિનય બેંકર ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ નાટ્ય મહોત્સવનું આયોજન કરવાનો મુખ્ય આશય જ એ છે કે રંગભૂમિના ચાહકોને એક જ સ્થળે રાજ્ય ઉપરાંત દેશ-વિદેશનાં સારામાં સારા નાટકો માણવાનો લ્હાવો આપી શકાય. આ સાથે જ દેશની વિવિધ સંકૃતિઓનો સમન્વય પણ થાય જેનો સીધો લાભ નાટ્યરસિકોને મળી રહે.’  

ખેર, અમદાવાદ ખાતે હાજર નાટ્યરસિકોએ તો આ તમામ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો પણ એ લોકોનું શું જેઓસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલમાં નથી પહોંચી શક્યાં? વેલ, તેઓ માટે પ્રસ્તુત છે આ તમામ નાટકોની ઝાંખી જેથી મહોત્સવમાં નહીં પહોંચી શકેલા નાટ્ય ચાહકોને પણ ત્યાં ભજવાયેલા નાટકો વિશે યોગ્ય જાણકારી મળી રહે. આ નાટ્ય મહોત્સવમાં ભજવાયેલા તમામ નાટકો સામાન્ય રીતે ભજવાતા નાટકોથી થોડાં હટકે કહી શકાય એવાં હતાં.




વન ઓન વન
વન ઓન વનનું એક દ્રશ્ય
સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલનાં પહેલા દિવસે એટલેકે ૨૯મી સપ્ટેમ્બરે નટરાણી ખાતે સૌથી પહેલાંવન ઓન વનનાટક ભજવાયુ હતું. આ નાટકની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં જુદાં જુદાં દસ કલાકારોએ અલગ અલગ દસ મોનોલોગ રજૂ કર્યાં હતાં. નાટકની અંદર તમામ પાત્રો અલગ અને તમામની વાત પણ અલગ. આ તમામમાં જો કોઇ સામ્યતા રહેલી હોય તો એ મુંબઇ શહેર છે! ‘વન ઓન વનનાટકનું દરેક પાત્ર મુંબઇ શહેર સાથે કોઇને કોઇ સંબંધ ધરાવે છે. આ નાટકમાં કોઇ પાત્ર મૂળ મુંબઇ શહેરનું જ છે તો કોઇક બહારથી હિજરત કરીને મુંબઇ આવે છે. કોઇ બોલિવુડમાં પોતાની કારકિર્દી બનાવવા આવ્યું છે તો આ નાટકમાં એક પાત્ર ખુદ મુંબઇ શહેરની સ્ટ્રીટ લાઇટનું જ છે! હિંદી, ઇંગ્લિંશ અને હિંગ્લીશ એમ કુલ ત્રણ ભાષામાં ભજવાયેલું આ નાટક વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતું. આ નાટક કોઇ વ્યક્તિ દ્વારા લિખિત કે નિર્મિત નથી. વન ઓન વનમાં રજીત કપૂર, અમિત મિસ્ત્રી, અનુરાધા મેનન અને ઝફર કરાંચીવાલા જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં કલાકારોએ મોનોએક્ટિંગ કરી હતી તો કુણાલ રોય કપૂર, રણજીત કપૂર અને નાદીર ખાન જેવાં દિગ્દર્શકોએ તેનાં દિગ્દર્શનની કમાન સંભાળી હતી.

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ
જીવનની રોજ બરોજની ઘટમાળથી થાકેલો એક માણસ બારમાં બેઠે બેઠો વાઇનનાં ઘૂંટડા ગટગટાવે છે અને અચાનક એક માણસ ત્યાં આવીને તેનો જામ પોતાનાં હાથમાં લઇ લે છે. આથી પીવા બેસેલો માણસ ખિન્નાઇને તેને પૂછે છે કે યે ક્યાં બેહુદગી હે. તો પેલો માણસ પીવા બેસેલી વ્યક્તિને પોતાની ઓળખાણ આપતા કહે છે કે તે પોતે ભગવાન છે. નાટ્યમહોત્સવને બીજે દિવસે વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ નાટક ભજવાયું હતું, જેમાં દારુ પીનાર વ્યક્તિનું પાત્ર અભિનેતા સાયરસ દસ્તૂરે ભજવ્યું હતું તો ભગવાનનું પાત્ર ભજવ્યું હતું ટોમ અલ્ટરે!
નાટકની શરૂઆતનાં તબક્કામાં ભગવાને એટલેકે ટોમ અલ્ટરે પીનાર વ્યક્તિ પાસે પોતે ભગવાન છે એની ભાંગજડ કરવી પડે છે. બાદમાં ભગવાન અને માણસ વચ્ચેનાં રસપ્રદ સંવાદોથી ધીમે ધીમે નાટકનો ઉઘાડ થાય છે. નાટકમાં પીનાર વ્યક્તિ ઇશ્વરને હાલમાં ખાડે ગયેલું સમાજકારણ અને રાજકારણને સુધારી આપવાની વાત કરે છે. તો ભગવાન માણસની આગળ સાંપ્રત સમયમાં માણસે પૃથ્વી પર કરેલાં પરિવર્તનો અને ઉપદ્રવો પર કટાક્ષબાણ છોડે છે અને તેને જણાવે છે કે તેની જવાબદારી માત્ર પૃથ્વી અને માણસનાં સર્જનની હતી. આ પછી જે ખુવારીઓ થઇ છે એ ખુવારીઓ માટે માણસ જવાબદાર છે આથી તેને સુધારવાનું કામ પણ માણસનું જ છે. લગભગ સવા કલાકના આ નાટકમાં ટોમ અલ્ટર અને સાયરસ દસ્તૂર પોતાનાં અદભુત સંવાદો દ્વારા દર્શકોને વ્યાકુળ કરી દે છે.

દાસ્તાન ઢાઇ આખર કી
દાસ્તાન ઢાઇ આખર કી
નાટ્ય મહોત્સવનું ત્રીજુ નાટક હતું દાસ્તાન ઢાઇ આખર કી. દિલ્હીનાં લેખક અને અભિનેતા અંકિત ચઢ્ઢા દ્વારા અભિનિત આ નાટકમાં દાસ્તાનગોઇપદ્ધતિથી નાટકની ભજવણી કરવામાં આવી હતી. ‘દાસ્તાનગોઇએ ફારસી શબ્દ છે, જ્યાંગોઇશબ્દનો અર્થ દાસ્તાન કરવાની એક વિશિષ્ટ ઢબ એમ થાય છે. સાંપ્રત સમયમાં દાસ્તાનગોઇ શબ્દ અને લોકકથાપ્રકાર બંન્ને લુપ્ત થઇ રહ્યાં છે ત્યારે અંકિત ચઢ્ઢાએ આ નાટકમાં કબીરનાં જીવન પર દાસ્તાનગોઇ કરીને રસપ્રદ નાટકની સાથોસાથ એક વીસરાઇ રહેલા વારસાને ફરી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંકિતે આખીદાસ્તાનગોઇમાત્ર એક જ જગ્યાએ બેસીને રજૂ કરી હતી, જેમાં દર્શકો અભિનેતાનાં ઉર્દુ ઉચ્ચારણો પર આફરીન પોકારી ઉઠયા હતાં.

સો મેની સોક્સ
નાટ્ય મહોત્સવનાં ચોથા દિવસે દિગ્દર્શક કસાર ઠાકોર  ‘સો મેની સોક્સનામનું એક જુદાં જ મૂળનું નાટક લઇને આવે છે. આ નાટકની અંદર તિબેટીયન રેફ્યુજીઓની વ્યથાની કથા વર્ણવામાં આવી છે. દિલ્હીની તિબેટીયન રેફ્યુજી કોલોનીમાં એક તિબેટીયન મહિલાને ગોળી વાગતા તે કોમામાં સરી પડે છે, અને બાદમાં આ તિબેટીયન પરિવારે કેટલીય હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. આ નાટકની એક વિશેષતા એ હતી કે નાટકનાં પાત્રો મંચ પર જ પોતાનો ગેટઅપ બદલી લેતા હતાં. એક પાત્ર તેનું ગેટઅપ બદલતું હોય ત્યારે બાકીનાં બે પાત્રો એટલી બખૂબીથી અભિનય કરે છે કે દર્શકોને એની જાણ સુદ્ધાં નથી થતી કે મંચ પરનું ત્રીજુ પાત્ર તેનું ગેટઅપ બદલી રહ્યું છે. આ નાટક જ્યારે ભજવાઇ રહ્યું હતુ ત્યારે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નટરાણીનાં મંચથી પરિચિત લોકોને ખબર જ હશે કે નટરાણીનો મંચ ઓપન એર છે. આમ, જ્યારે તાડામાર વરસાદ તૂટી પડે ત્યારે નાટક અધવચ્ચે બંધ કર્યે જ છૂટકો! પણ કલાકારોએ વરસતા વરસાદમાં પણ પોતાનો અભિનય ચાલુ રાખ્યો  અને ખરા અર્થમાં નાટ્યચાહક કહી શકાય એવા લોકોએ મોટી સંખ્યામાં આ નાટક નિહાળ્યું પણ ખરું!


મેકબેથ ઇન ચોલીએટ્ટમ
કલ્ચર ગાર્ડિયનનાં વાચકોમેકબેથ ઇન ચોલીએટ્ટમથી સુપેરે પરિચિત હશે જ કારણકે અહીં અગાઉ પણ આ વિશે લખાઇ ચૂક્યું છે. નાટ્યમહોત્સવને પાંચમે દિવસે ભજવાયેલા આ નાટકમાં કલાકાર એટ્ટુમનોર પી કાનન કથ્થક નૃત્યની અંદર શેક્સપિયર કૃતમેકબેથલઇને આવ્યાં હતાં. સામાન્ય રીતે અંગ્રેજી નાટકો પ્રાદેશિક ભાષામાં લાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રદેશ મુજબ થોડાં ઘણાં ફેરફારો કરવામાં આવતા હોય છે. પરંતુમેકબેથ ઇન ચોલીએટ્ટમમાં મૂળ નાટકનાં સંવાદો જેમનાં તેમ રાખી તેને ભજવવામાં આવ્યાં હતાં. જોકે અહીં નૃત્યકારે માત્ર પોતાનાં હાવભાવ વડે જ દર્શકોને વશીભૂત કર્યા હતાં. બાકી મેકબેથનાં સંવાદો અને સંગીત અગાઉથી જ એકોર્ડ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યાં હતાં.


સીતાઝ ડૉટર
મલ્લિકા સારાભાઇ બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે, નૃત્ય હોય, અભિનય હોય કે સામાજીક નિસ્બત આ તમામ ક્ષેત્રે તેમણે સદૈવ અગ્રેસર ભૂમિકા ભજવી છે. નાટ્યમહોત્સવને છઠ્ઠે દિવસે મલ્લિકા સારાભાઇએ તેમનું વિશ્વપ્રસિદ્ધસીતાઝ ડૉટરરજૂ કર્યું હતું. અહીં એ કહેવાની જરૂર નથી કે સોલો પર્ફોર્મન્સ ધરાવતું આ નાટક જોયા બાદ દર્શકોનાં પ્રતિભાવ કેવા રહ્યાં હશે. જોકે ત્રેવીસ વર્ષ જૂનાં આ નાટકમાં સાંપ્રત સમયની કેટલીક ઘટનાઓને આવરીને તેમાં કેટલાંક બદલાવ કરવામાં આવ્યાં હતાં. નાટકની શરૂઆતમાં ભગવાન રામે એક ધોબીનાં આક્ષેપ બાદ સીતાની અગ્નિપરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે સીતાએ જે મનોવેદના અનુભવી હતી તેનું મલ્લિકા સારાભાઇએ તાદ્શ વર્ણન કર્યુ હતું, જ્યાં બાદમાં ધીમે ધીમે નાટક વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે થઇ રહેલા સામાજીક અન્યાય સુધી આવી પહોંચે છે. નાટકમાં મલ્લિકા સારાભાઇ વારાફરતી જુદી જુદી વાર્તાઓ નેરેટ કરે છે અને બાદમાં તેમણે પોતે જ તમામ વાર્તાનાં પાત્રોનો અભિનય પણ કર્યો હતો.


ઇસ્મત કી ઓરત
સાતમે દિવસે હૈદરાબાદનું સૂત્રધાર ગ્રુપઇસ્મત કી ઓરતનાટક લઇને આવ્યું હતું. ડિરેક્ટર વિનય વર્માનાં  આ નાટકમાં ઉર્દુનાં પ્રખ્યાત વાર્તાકાર ઇસ્મત ચુગતાઇની વાર્તાઓનાં સ્ત્રી પાત્રો વિશેની વાતો કરવામાં આવી હતી. આ નાટકમાં ઇસ્મત ચુગતાઇની ત્રણ જુદી જુદી વાર્તાઓ ત્રણ જુદા જુદા પાત્રો દ્વારા ભજવવામાં આવી હતી. જેમાં સમાજનું સત્ય અને સમાજનો જુદા જુદા વર્ગની સ્ત્રી તરફનો દ્રષ્ટિકોણ અત્યંત બખૂબીથી દર્શાવાયો હતો.

 

ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી

 

સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલને અંતિમ દિવસે અરુણા ચક્રવર્તીનું ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી રજૂ થયું હતું. અરુણા ચક્રવર્તીની જ નવલકથા જોડાસાન્કોપર આધારિત આ નાટકમાં ટાગોરનાં પરિવાર સાથે સંબંધ ધરાવતી બે સ્ત્રીઓની વાત આલેખવામાં આવી હતી. આ બંને સ્ત્રીઓ તેમનાં પ્રદેશનાં અત્યંત પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાને કારણે તેમણે જાહેર જીવનમાં રાખવી પડતી તકેદારીઓની વાત કરવામાં આવી છે. તો ક્યાંક આ નાટકમાં પ્રતિષ્ઠિત પરિવારની સ્ત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ લાગણીઓ અને સબંધોનાં માપદંડો ધરાવતી દર્શાવાઇ હતી.

 

ગયા વર્ષથી શરૂ થયેલાં આ નાટ્યમહોત્સવ શરૂ કરવા પાછળદર્પણનાં મલ્લિકા સારાભાઇ, યાદવન ચંદ્રન, પ્રિયંકા રામ અને અભિનય બેંકર જેવા અનેક લોકોએ તેમનું અનન્ય યોગદાન આપ્યું છે.

નોંધઃ અહીં લેવાયેલા ત્રણેય ફોટોગ્રાફ્સ ઝેનિથ બેંકરનાં છે.